Mysamachar.in-જામનગર:
પૃથ્વીની બહાર 408 કી.મી.ની ઊંચાઈ એ રહીને પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહેલા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને આવતીકાલે 14 મી જાન્યુઆરીના સાંજે નરી આંખે જોઈ શકાશે. જામનગરના નભોમંડળમાં આવતીકાલે સાંજે આ અવકાશી અલભ્ય નજારો જોવા મળવાનો છે. ત્યારે જામનગરની ખગોળપ્રેમી જનતા એ આ અવકાશી ઘટનાનો લહાવો લેવા અનુરોધ કરાયો છે.આ અવકાશી યાનમાં હાલમાં 7 યાત્રીઓ પ્રવાસ કરી રહ્યા છે.73.0 મીટરની લંબાઈ અને 109 મીટરની પહોળાઇ ધરાવતું આ યાન 7.66 કી.મીટર. પ્રતિ સેકન્ડ ની ઝડપે દર 92.68 મીનીટે પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહ્યુ છે. જેણે ડિસેમ્બર 2021 સુધીમાં પૃથ્વીની 1,31,440 પ્રદક્ષિણા કરી લીધી છે.
જામનગર શહેરના નભોમંડળમાં 14 જાન્યુઆરીને શુક્રવારના સાંજે 7 વાગ્યાને 30 મિનિટ અને 29 સેકન્ડ પછી દેખાવાનો પ્રારંભ થશે, અને 7 વાગ્યાને 35 મિનિટને ૫૨ સેકન્ડ સુધી દક્ષિણ પશ્ચિમમાં અને ત્યાર પછી દક્ષિણ પૂર્વમાં જોઈ શકાશે.જે દક્ષિણ-પશ્ચિમ દિશા માં ઊગી મધ્ય આકાશમાં મેષ રાશિમાંથી પસાર થઇ ચંદ્ર પાસે નીહાળી શકાશે. સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરમાં આ નજારો સૌથી વધુ સાંજના સમય મુજબ જોવા જઈએ તો રાજકોટમાં 19 કલાક 35 મિનિટ અને 57 સેકન્ડ, અમદાવાદમાં 19 કલાક 36 મિનિટ અને ૫૨ સેકન્ડ, ધ્રોળમાં 19 કલાક 35 મિનિટ અને 36 સેકન્ડ, દ્વારકામાં 19 કલાક 35 મીનિટ અને 39 સેકન્ડના મધ્ય સમયે નરી આંખે જોઈ શકાશે.જેની પ્રકાશની તીવ્રતા.-3.9 કે જે શુક્રના ગૃહ જેટલો પ્રકાશીત છે. આ સ્પેસ સ્ટેશન ખુબ જ ચમકતા હોવાથી મધ્ય આકાશમાં અને બ્રમ્હમંડળના ચમકતા તારા બ્રમ્હહ્રદય પાસેથી પસાર થશે. ત્યારે નરી આંખે 4 મિનિટ સુધી જોઈ શકાશે.
સંકલન:કિરીટ શાહ:ખગોળ મંડળ:જામનગર