Mysamachar.in-જામનગર
ગત્ શનિવારનાં બપોરનાં સમયથી હજુ સુધી લોકો એકમેકને પૂછી રહ્યા છે, તમારાં બેંક ખાતામાં રૂ. 5,000 જમા થયાં ?! ઘણાં લોકો ભોળાભાવે સામે પૂછે: શેનાં ? સરકાર આપવાની છે ?! ત્યારે, પ્રથમ પ્રશ્ન પૂછનાર પોતાનું જ્ઞાન ડહોળતા એમ કહી રહ્યા છે કે, જે લોકોએ કોરોના વેક્સિનનાં બંને ડોઝ લીધાં હોય તેઓનાં બેંક ખાતામાં સરકાર આ રૂપિયા જમા કરી રહી છે ! કેટલાંક વધુ ડહાપણ ધરાવતાં લોકો તો વળી એમ પણ કહી રહ્યા છે કે, પ્રધાનમંત્રી જન કલ્યાણ યોજના અંતર્ગત દરેક વ્યક્તિનાં બેંક ખાતામાં રૂ. 5-5 હજાર જમા કરવામાં આવી રહ્યા છે !
પાછલાં 36-48 કલાકથી આ મેસેજ, ઈન્ટરનેટનાં આ ઝડપી યુગમાં તેજ ગતિએ વાયરલ થતાં જામનગર સહિત રાજ્યભરમાં અને દેશભરમાં ભારે ઉત્કંઠા અને ઉતેજના જોવા મળી રહી હતી. તે દરમિયાન, પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરોએ આ વાયરલ મેસેજની સચ્ચાઈ જાણવા પ્રયત્ન કર્યો અને પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર જાહેરાત કરી છે કે, આ વાયરલ મેસેજ છે. કોઈએ આ મેસેજ ખરો માનવો નહીં. પીઆઈબી એ દાવાની ખરાઈ બાદ કરેલી આ સ્પષ્ટતા પછી હવે આ અફવા ધીમે ધીમે લોકો ભૂલી જશે.
અત્રે નોંધનીય છે કે, દેશભરમાં કરોડો લોકોનાં હાથોમાં મોબાઈલ તથા લેપટોપ પહોંચી ચૂક્યા હોય, આ પ્રકારના બિનસત્તાવાર સંદેશા ભળતા નામે તેજ ગતિએ વાયરલ થતાં રહે છે અને લોકો આવા મેસેજનો માઉથ ટુ માઉથ ભારે પ્રચાર કરતાં હોય, આવી અફવાઓ ખૂબ ઝડપથી પ્રસરી જતી હોય છે. મોંઘવારીથી પિસાતી પ્રજા તથા નાણાં લાલચુ લોકો આ પ્રકારના મેસેજને ઝડપી વાયરલ બનાવવામાં મોટો ફાળો આપતાં જોવા મળે છે.