Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં આગામી ગુરુવારે 89 વિધાનસભા બેઠક પર મતદાન થશે. જે સંદર્ભે ચૂંટણી પંચનાં નિયમ મુજબ, આજે મંગળવારે સાંજે પાંચ વાગ્યાથી આ મતવિસ્તારોમાં ઉમેદવારોનો જાહેરમાં પ્રચાર બંધ થશે. અને, આવતીકાલે બુધવારે મતદાનનાં આગલાં દિવસે સૌ લાગતાં વળગતા ‘ગોઠવણો ‘ માં વ્યસ્ત રહેશે.
વિધાનસભાની ચૂંટણીઓ આખરે આપણાં સૌનાં આંગણે આવી પહોંચી છે. મતદાન શરૂ થવા આડે હવે પૂરાં 48 કલાક પણ બચ્યા નથી. ‘ શું થશે ? ‘ નું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું હોય, સર્વત્ર ખાસ કરીને ઉમેદવારો તથા રાજકીય પક્ષોમાં જબરો અને ઉત્તેજનાપૂર્ણ ઉચાટ જોવા મળી રહ્યો છે. કેમ કે, આ ચૂંટણીમાં મતદાનની પેટર્ન અગાઉની ચૂંટણીઓની સરખામણીમાં અલગ રહેવા સંભવ છે. બીજી તરફ, મતદારો હજુ સુધી મૌન અને તેથી અકળ છે. ક્યાંય કોઈ રાજકીય પવન કે મોજું વર્તાઈ રહ્યું નથી. જામનગર સહિત સમગ્ર રાજ્યમાં બોઝિલ સન્નાટો છવાઈ ગયો છે. મતદારો સૌની કસોટી લેવાનાં હોય, પરીક્ષાખંડમાં પથરાયેલી શાંતિ જેવો અદભૂત માહોલ જોવા મળી રહ્યો છે.
ચૂંટણીતંત્રએ જાહેરાત કરી દીધી છે કે, લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-1951ની કલમ-126 અનુસાર- આજે સાંજે પાંચ વાગ્યાથી ચૂંટણી પ્રચારનો અંત આવી જશે. સભાઓ, રેલીઓ અને જાહેર પ્રચારનાં પડઘમ શાંત થશે. હવે મતદારોનો માત્ર વ્યક્તિગત સંપર્ક જ કરી શકાશે. ગ્રૂપ મિટિંગ પણ યોજી શકાશે નહીં.
આ ઉપરાંત આ અધિનિયમ અનુસાર, કોઈ પણ રાજકીય પક્ષનાં કાર્યકરો કે પ્રચારકો જામનગર જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે બહારગામથી આવ્યા હોય, તે તમામે આજે સાંજે પાંચ વાગ્યા પહેલાં જામનગર જિલ્લામાં સંબંધિત મતવિસ્તાર છોડી દેવાનો રહેશે. હવે ચૂંટણી પ્રચાર બંધ થતાં અને આવતીકાલનો બુધવારનો દિવસ મતદાનનાં દિવસનો આગલો દિવસ હોવાથી, આજે મંગળવારે રાત્રે અને આવતીકાલે બુધવારે આખો દિવસ તેમજ મતદાનની આગલી રાત, એટલે કે બુધવારે રાત્રે જબરદસ્ત ‘ ગોઠવણો ‘ થશે. રાજકીય પક્ષો, ઉમેદવારો વગેરે દ્વારા છેલ્લી ઘડીના પ્રયાસો થશે.
મહત્તમ મતદાન માટે તથા પોતાની તરફેણમાં મતદાન માટે તમામ ઉપાયો અજમાવવામાં આવશે. જો કે આ પૈકીનાં કેટલાંક ઉપાયો અતિ ખાનગી અને રહસ્યમય હશે, જેની જાણકારી માત્ર ગણ્યાગાંઠ્યા સંબંધિત લોકો સુધી જ મર્યાદિત રહેશે. આ વખતે હજુ સુધી જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મતદારો મનમાં ગોઠવણો કરી રહ્યા હોય, ઉમેદવારો, પક્ષો તથા ચૂંટણી કામગીરી સંભાળી રહેલાં તજજ્ઞો પણ મતદાન કોની તરફેણમાં થશે ?! એ અંગે મૂંઝવણો અનુભવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સૌ સંબંધિતોએ અત્યાર સુધીમાં પ્રચાર માટે કોઈ જ કસર છોડી નથી એમ છતાંયે સૌ સંબંધિતોને કોઈ અજ્ઞાત ડર સતાવી રહ્યો છે, કેમ કે તેઓ સૌ એક એક મતની તાકાત સારી પેઠે સમજી રહ્યા છે.