Mysamachar.in-સુરત
આપણે ત્યાં પાડોશીને પહેલો સગો માનવામાં આવે છે, અને સુખદુઃખના સમયમાં પહેલા પાડોશીની મદદ લેવાતી હોય છે, પણ સુરતમાં પડોશીજ પાડોશીના પુત્રનો હત્યારો નીકળ્યો છે, સુરતમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પિતાએ પડોશી પાસેથી ઉછીની 7 હજારની રકમ લીધી અને તે રકમ આપી ન શકતા પડોશીએ બદલો લેવા માસુમ બાળકનું અપહરણ કરી હત્યા કરી લાશ શેરડીના ખેતરમાં ફેંકી દીધી હોવાનું સામે આવ્યુ છે,
મળતી વિગતો મુજબ સુરતના ભટાર ખોડીયાર નગરમાં રહેતા અને કલરકામ કરતા કિશન સહાનીનો 9 વર્ષનો પુત્ર આકાશ શુકવારે સાંજે ઘરની બહાર રમતો હતો. તે વખતે પડોશી કરણ ઉર્ફે આદિત્ય ચૌહાણ આકાશને બાઇક પર બેસાડી પોતાની સાથે લઇ ગયો હતો. આકાશ કરણને ઓળખતો હોવાથી તેના કહેવાથી તેની સાથે જવા તૈયાર થઇ ગયો હતો. કરણ ચૌહાણ બાળકને પહેલા ઓલપાડ-સાયણ રોડ પર રહેતા તેના મિત્ર બરકતઅલીના ઘરે લઈ ગયો હતો. જ્યાં બરકતઅલીને અઠવાડિયાનું રાશનનું સામાન આપ્યું હતું. બાદમાં કરણ તેના મિત્ર બરકતઅલી સાથે બાળકને બાઇક પર બેસાડી મોડી રાત્રે ઓલપાડ-સાયણ રોડ પર લઈ ગયા હતા.
જ્યાં બંને હત્યારાઓએ પહેલાં બાળકને માર માર્યો પછી તેનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. જે બાદ આકાશની લાશને શેરડીના ખેતરમાં ફેંકી કરણ ઘરે આવી ગયો હતો. અપહરણ કર્યાના દોઢ-બે કલાકમાં બાળકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ખટોદરા પોલીસે મોડીરાત્રે પડોશી કરણ ઉર્ફે આદિત્ય ચૌહાણ અને તેના એક મિત્ર બરકતઅલીને પોલીસમથક ખાતે લાવી આકરી બંને આરોપી ભાંગી પડયા હતા અને બાળકની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
પોલીસે જણાવ્યું કે બાળકના પિતાની માતાનું લોકડાઉન વખતે અવસાન થયું હતું. તે વખતે વતન જવા માટે પડોશી કરણ ઉર્ફે આદિત્ય પાસેથી 7 હજારની રકમ ઉછીની લીધી હતી. આ રકમ બાબતે 15 દિવસ પહેલા પડોશી અને બાળકના પિતાની વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. જેના કારણે 7 હજારની રકમનો બદલો લેવા પડોશી હત્યારા કરણ ઉર્ફે આદિત્ય ચૌહાણએ તેના મિત્ર બરકતઅલી ઉર્ફે સોનુ રહેમતઅલી સાથે બાળકની હત્યા કરી નાખી હોવાનું સામે આવે છે.પોલીસે બન્ને શખ્સોને ઝડપી પાડ્યા બાદ આ અંગે વિશેષ તપાસ ચલાવી રહી છે.