Mysamachar.in-ગુજરાત
સરકારી નોકરી માન મોભો અને સારો પગાર મેળવવા છતાં પણ ભ્રષ્ટાચારી અધિકારીઓ અને કર્મચારીઓના પેટ ભરાતા જ નથી, અને આવનાર અરજદાર પાસે તેનું કામ કરવા લાંચ માંગી જ લે છે. નહિતર અરજદારોને પરેશાનીનો પાર રહેતો નથી, એવામાં એસીબી દરેક કચેરીઓમાં નિયમિત રીતે ધોંસ બોલાવવાની જરૂર હોય તેમ લાગે છે, સરકાર ભલે ભ્રષ્ટાચાર નાબુદીના દાવાઓ કરે પણ બાબુઓને તેનાથી કોઈ ફર્ક પડતો નથી અને તેવો તો લીધા જ રાખે છે, એવામાં ગુજરાત રાજયમાં એસીબીએ છેલ્લા આઠ મહિના દરમિયાન કુલ 94 કેસ કરીને 174 આરોપીઓને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. નોધનીય બાબત એ છે કે, આ આઠ મહિનામાં એસીબીએ કુલ 9 સરકારી અધિકારીઓ પાસેથી ગેરકાયદેસર ભ્રષ્ટાચારી કરી એકત્ર કરેલી સ્થાવર અને જંગમ મિલ્કતો મળી કુલ રૂ. 56.20 કરોડની બેનામી મિલકતો જપ્ત પણ કરી છે,
2021ના છેલ્લા આઠ મહિનામાં કુલ 66 ટ્રેપ ગોઠવવામાં આવી હતી, જયારે 5 ડીકોય, 9 ડિસ્પ્રપોશનેટ એસેટ્સ અને અન્ય 14 મળી કુલ 94 કેસો દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં કુલ 174 આરોપીઓની સામે ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરવામાં આવી હતી. છેલ્લા આઠ મહિનામાં એસીબીએ વર્ગ-1ના 6, વર્ગ-2 ના 21, વર્ગ-3ના 77 અને વર્ગ-4ના 6 વ્યકિતઓ તથા 64 ખાનગી વ્યકિતઓ મળી કુલ 174 આરોપીઓ લાંચ લેતા ઝડપાયા હતા. અત્રે નોંધનીય છે કે વર્ગ-3 ના સૌથી વધુ 77 કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા છે, જે તમામ વર્ગ કરતા વધુ છે.
-નોકરી દરમિયાન મલાઈ નહિ પણ મલાઈના ઘડા તારવનાર 9 અધિકારીઓ સામે પણ કાર્યવાહી થઇ
ઘણા એવું માની લે છે કે નિવૃત્તિ બાદ શું થાય તેનો પણ એસીબીએ વહેમ દુર કરી દઈ અને 9 સરકારી અધિકારીઓ કે જેમણે પોતાની નોકરીના કાર્યકાળ દરમિયાન બેફામ ભ્રષ્ટાચાર કરી પરિવારના નામે ખરીદેલી સ્થાવર કે જંગમ મિલકત અને બેંકખાતામાં મૂકેલા પૈસા મળી કુલ 56.20 કરોડની બેનામી સંપત્તિ પકડી પાડવામાં આવી હતી.
-ક્યાં વિભાગના કર્મચારીઓ એસીબીની ઝપટે ચઢ્યા
આ સમયગાળા દરમિયાન એસીબીએ ગૃહ વિભાગના 30, પંચાયતમાં 6, મહેસૂલમાં 11, આરોગ્ય અને પરિવાર કલ્યાણમાં 1, શિક્ષણમાં 3, ઉર્જા અને પેટ્રોકેમિકલમાં 3, ઉદ્યોગ અને ખાણમાં 2, કૃષિ અને સહકારમાં 19, શહેરી વિકાસમાં 9, બંદર અને વાહન વ્યવ્હારમાં 2, વન અને પર્યાવરણમાં 2, નાણાંમાં 7, અને કેન્દ્ર સરકારના 7 અધિકારીઓ કર્મચારીઓને લાંચ લેતા ઝડપાયા હતા.