Mysamachar.in-જામનગર
જોડીયા પંથકમા થઇ રહેલી રેતી ચોરીમા કહેવાતી તપાસોના હાથ હેઠા પડતા રાજકીય પીઠબળ અને તંત્રોની સાંઠગાંઠના આક્ષેપ ચોમેરથી થાય છે, જોડિયા પંથકમાં રેતી ચોરી કરતાં ખનિજ માફિયાઓ દ્વારા ભરચક પાણીથી ભરેલી નદી અને ડેમમાં આધુનિક બાર્જ, હુડકા સહિતના મશીનો દ્વારા બેફામ રેતી ચોરી કરાતી હોવાની તસ્વીરો સામે આવી હોવાનુ જાણકારો કહે છે, જોડિયા તાલુકામાં ઉંડ-2 ડેમ અને ઉંડ નદીમાં ચોમાસામાં પાણીનો સંગ્રહ થવાથી રેતીની ખનીજ ચોરી અટકી જશે તેવું માનવામાં આવતુ હતું પરંતુ રેતીની ખનીજ ચોરી કરતા તત્વોએ ખાણખનીજ અને પોલીસને ખીસ્સામાં રાખીને ઉંડ નદી તેમજ ડેમમાં ખાસ મશીનરી ઉતારીને રેતી ચોરીનો સીલસીલો ચાલુ રાખ્યો હોવાની સ્ફોટક વિગતો બહાર આવી છે.
વધુમાં રેતી ચોરી કરતા ખનીજ માફિયા તત્વોએ તંત્ર સાથે કથિત સેટીંગ કરીને હીટાચી, 100 જેટલા ડમ્પરો, જે.સી.બી. અને ખાસ ભાડેથી બાર્જ મંગાવીને બેફામ ખનીજ ચોરી કરી રહ્યા છે અને આ મામલે સ્થાનિક ગ્રામજનો દ્વારા ખાણ ખનીજ વિભાગને વખતોવખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં પગલાં લેવામાં ન આવતાં ગ્રામજનો દ્વારા સ્પષ્ટપણે જણાવાઇ રહ્યું છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના ખાણ ખનીજ વિભાગની કૃપાથી આવુ રકેટ ચાલી રહ્યું છે ત્યારે આ અંગે ફરિયાદ કયાં કરવી તે મોટો પ્રશ્ર્ન છે, હાલમાં દિવસ-રાત ખનીજ માફિયાઓ રેત ખનન કરી રહ્યા છે છતાં તંત્ર મૌન બની તમાસો નિહાળે છે. કેમકે રાજકીય પીઠબળ થી ખનીજ ચોરી થઇ રહ્યાના આક્ષેપ છે.