Mysamachar.in-જામનગર:
રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજી પટેલ દ્વારા જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે અદ્યતન ડ્રોન ટેકનોલોજી વડે ખેતરોમાં ઇફ્કો નેનો યુરિયા ખાતર છંટકાવ પદ્ધતિનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા પુરસ્કૃત કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી (કૃષિ વિમાન)ના ઉપયોગની સમગ્ર રાજ્યમાં આજથી શરૂઆત કરવામાં આવી છે.
કૃષિમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આપણી પરંપરાગત ખેતી પધ્ધતિ મુજબ યુરિયા ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાથી સમય શકિત, પાણી, વીજળી અને નાણાંનો વ્યય થતો હતો. રૂ. ૩૫૦૦ લાખના ખર્ચે વિકસાવવામાં આવેલ અદ્યતન ડ્રોન ટેકનોલોજી દ્વારા યુરિયા ખાતર છંટકાવ પદ્ધતિ શરુ કરાઇ છે. જે અંતર્ગત ખેડૂતોને પ્રતિ એકર 500 ની સહાય આપવામાં આવશે. ખેડૂતોને ઍક વર્ષમાં મહતમ 5 એકર જમીન માટે 5 વખત યુરિયા ખાતર છંટકાવ કરવા માટે અન્ય કુલ રૂ. 2300 લાખની સહાય પણ મંજૂર કરવામાં આવી છે. પૂર્વે ખેડૂતો દ્વારા ખાતરો અને જંતુનાશક દવાઓ છાંટવામાં આવતી હતી જેથી તેમના આરોગ્ય પર ગંભીર ખતરો તોળાતો હતો. અત્યાધુનિક ડ્રોન ટેકનોલોજી દ્વારા યુરિયા ખાતરનો છંટકાવ કરવાથી ખેડૂતોની સમય શક્તિ, પર્યાવરણનું રક્ષણ, ડીઝલ, પાણી, વીજળીની બચત તેમજ મજૂરી ખર્ચ પણ બચશે.