Mysamachar.in:ગુજરાત
આજનાં જમાનામાં બે પૈડાંવાળું વાહન લકઝરી નહીં પરંતુ જરૂરિયાત છે. શહેરો મોટાં બની ગયા છે અને મહિલાઓ પણ પુરૂષોની સાથે સાથે મોટી સંખ્યામાં બહારનાં કામો કરી રહી છે, નોકરીઓ અને બિઝનેસ કરી રહી છે ઉપરાંત છાત્ર વર્ગમાં પણ ટુ વ્હીલરનું ચલણ વિશેષ છે ત્યારે ટુ વ્હીલરની કિંમતો વાજબી રહે તે સમયની માંગ છે. આ સ્થિતિમાં આ વાહનો પર કરભારણ ખરેખર તો ઓછું રાખવું – એ વાજબી માંગ લેખી શકાય.
ટુ વ્હીલરની કિંમતો આસમાનને આંબી રહી છે. ફુગાવાને કારણે પણ કિંમતો ઉંચી છે. પડતર પણ મોંઘી બની છે. કર્મચારીઓનાં પગારો સહિતનાં ખર્ચ પણ આ વાહનોને મોંઘા બનાવવા પાછળ કારણભૂત પરિબળ છે. અને એમાંયે, જીએસટી કાઉન્સિલે આ વાહનોને લકઝરી ચીજોની શ્રેણીમાં મૂક્યા હોય, ટુ વ્હીલર પર 28 ટકા જેટલો ઉંચો જીએસટી વેરો વસૂલવામાં આવી રહ્યો છે ! આ વેરો દસ ટકા ઘટાડવા માંગણી કરવામાં આવી છે.
વાહન ડીલરોના દેશનાં સૌથી મોટાં સંગઠન ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર એસોસિએશન(FADA)એ કહ્યું છે કે, ટુ વ્હીલર સામાન્ય માણસની જરૂરિયાત હોવાથી તેનાં પર 28 ટકાને બદલે 18 ટકા જીએસટી લેવામાં આવે તો ગ્રાહકોને ટુ વ્હીલરની વધતી જતી કિંમતોમાં રાહત મળી શકે. ‘ફાડા’ નાં અધ્યક્ષ મનિષ સિંઘાનિયા કહે છે : આ પ્રોડક્ટને લકઝરી પ્રોડક્ટ હેઠળ વર્ગીકૃત ન કરવી જોઈએ. જીએસટી માં રાહત આપવી જોઈએ. હાલમાં ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી મંદીનાં તબક્કામાંથી પસાર થઈ રહી હોય, જીએસટી ઘટાડવામાં આવે તો આ ઉદ્યોગમાં નવો પ્રાણ ફૂંકાઈ શકે છે.