Mysamachar.in:જામનગર
જામનગર મહાનગરપાલિકા ગત્ વિધાનસભા ચૂંટણી પહેલાં જોરશોરથી ગાજી હતી. શહેરમાં પાર્કિંગ પોલિસી અમલમાં આવશે. પછી, કોર્પોરેશનનાં ઉત્સાહી શાસકો અને અધિકારીઓ – પાર્કિંગ પોલિસીનો આ મુદ્દો જ, ધરાર ભૂલી ગયા ! ખરેખર તો આ મુદ્દો મહાનગરપાલિકાએ યાદ રાખવો પડે તેવી ચિંતાજનક સ્થિતિ છે. ગંભીર સ્થિતિ છે. શહેરની ટ્રાફિક પોલીસ દિવસ આખો કરે છે શું ?! એવો પ્રશ્ન ઘણાં નગરજનો પૂછતાં હોય છે ! કારણ કે, નગરજનોને વર્ષોથી, રોજનો કડવો અનુભવ છે કે – શહેરમાં ટ્રાફિક નિયમન મુદ્દે જંગલરાજ ચાલે છે ! આ વિભાગનાં અધિકારીઓને તસવીરો ખેંચાવવાનો શોખ હોય છે. કયારેક કયારેક, પાંચ પચ્ચીસ વાહનો ડીટેઈન કરી ગાજવાનો શોખ હોય છે ! તેઓને ટ્રાફિક જંગલરાજથી પીડાતાં લાખો નગરજનોની દુવિધાનો ખ્યાલ નથી હોતો !
ધારો કે કોઈ નગરજન ટુ વ્હીલર કે ફોર વ્હીલર લઈ સુપર માર્કેટમાં ખરીદી માટે જાય, તો તે નગરજન પોતાનું વાહન ક્યાં પાર્ક કરે ?! એ જ પ્રકારની સ્થિતિ બર્ધનચોકમાં પણ છે અને શાક માર્કેટ ખાતે પણ છે ! આ પ્રકારના પ્રશ્નોનાં જવાબો ન તો ટ્રાફિક પોલીસ પાસે છે, ન તો કોર્પોરેશન પાસે ! શહેરમાં મુખ્ય માર્ગો પર આવેલી કોમર્શિયલ ઈમારતો, સરકારી કચેરીઓ, રહેણાંક ઈમારતો, જ્ઞાતિઓની વાડીઓ અને કેટલીક હોટેલો તથા કેટલીક બજારો એવી છે, જેની આસપાસ જાહેર માર્ગો પર વાહનોનાં ખડકલા જોવા મળે છે ! આ ખડકલા રસ્તાઓ પરનાં વાહનવ્યવહારને અવરોધરૂપ હોય છે. પરંતુ નગરજનો મજબૂર છે, કેમ કે આવા સ્થળોએ વાહન પાર્કિંગ માટે કોઈ સુવિધાઓ જ નથી ! કોર્પોરેશન ધરાર ઉંઘે છે ! અને ટોઈંગ વાહન મારફતે નગરજનોને લૂંટે છે !
પાર્કિંગ માટેની જગ્યાઓ કેટલીયે ઈમારતોમાં એવી છે જેને મહાનગરપાલિકા પાર્કિંગ માટે ખાલી કરાવતી નથી ! બીજું, કોર્પોરેશને ખુદે શહેરમાં ઘણાં જાહેર સ્થળોએ નગરજનો પાસેથી પાર્કિંગ સુવિધા ઝૂંટવી લીધી છે ! અને એ જ કોર્પોરેશન અને પોલીસ, આવા સ્થળોએ પાર્ક થયેલાં વાહનોને ગેરકાયદે પાર્કિંગ જાહેર કરે છે ! લોકોનાં વાહનો ઉપાડી જાય છે. જેમાં કેટલાંક કિસ્સાઓમાં લોકોનાં વાહનોને નુક્સાન થાય છે, તૂટફૂટ થાય છે. વાહનનાં અભાવે લોકોનાં મહત્વનાં અને ઈમરજન્સી કામો અટકી જાય છે અને આ ટોઈંગ વાહનની દાદાગીરીનો ભોગ બની, વાહનધારક નગરજનોએ દંડ પણ ભરવો પડે છે ! જનપ્રતિનિધિઓને મતદારોની આ પીડાનો પરિચય છે ?!
નગરજનો ઈચ્છે છે કે, કોર્પોરેશન તથા ટ્રાફિક પોલીસ સંકલન કરીને નગરજનોને વાહન પાર્કિંગ માટે સમગ્ર શહેરમાં વ્યવસ્થા કરી આપે. જો કે આટલાં વર્ષોમાં તો તે શક્ય બન્યું નથી ! છતાં આજની તારીખે લાખો લોકોની તંત્રો પાસે અપેક્ષા આ છે. તંત્રો આ મુદ્દે વિચારશે ? સુધરશે ?! કે પછી, બધું આમ જ ચાલતું રહેશે ?!