Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકા કહેવાથી તો મહાનગરપાલિકા છે, પણ લગભગ એક પણ બ્રાંચ એવી નથી જેમાં અધિકારીઓ અને કર્મચારીઓની ઘટ ના હોય… અને કોર્પોરેશનની મહત્વની બ્રાન્ચોનો વહીવટ પણ કોન્ટ્રાકટ બેઝ કર્મચારીઓ સંભાળે તેનાથી મોટી કરુણતા શું હોય..? એવામાં લાયક હોય તેવા અધિકારીઓ કર્મચારીઓને પ્રમોશનના મળે તેવા કેટલાય મુદ્દાઓ જેએમસી ટેકનીકલ યુનિયન ઉઠાવી ચુક્યું છે, અને તેના પરિણામ સ્વરૂપ કેટલાક અધિકારીઓને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે, ત્યારે આ રીતે કરોડોનો વહીવટ કરતી મહાનગરપાલિકાનું ગાડું કેમ ગબડે તે સૌથી મોટો સવાલ છે, પણ કોણ જાણે મહાનગરપાલિકામાં નિયમો મુજબ કેમ ભરતી અને બઢતી ખાસ કિસ્સાઓ સિવાય નથી થતી ત્યારે હવે આ મામલે વિપક્ષ કોર્પોરેટર રચના નંદાણીયાએ કોર્પોરેશનમાં ખાલી પડેલ 4 કાર્યપાલક ઈજનેરોની નિમણુક કરવા હવે તેવો દર સપ્તાહે સ્ટેન્ડિંગ કમિટી ચેમ્બર બહાર કે કમિશ્નર ચેમ્બર બહાર બેસી પ્રતિક ધરણા યોજશે…
તેવોએ આપેલ રજૂઆતમાં જણાવ્યાનુંસાર જામનગર મહાનગરપાલિકા કુલ 5 જગ્યામાંથી 1 જગ્યામાં સીટી એન્જીનીયર નિમણુક થયેલ હોય. બાકી રહેતી 4 કાર્યપાલક એન્જીનીયર પરની જગ્યા ઘણા સમયથી નિમણુક કરવામાં આવતી નથી.અને ચાર્જમાં અધિકારીઓને રાખવામાં આવતા હોવાથી તેમજ વધારે ચાર્જ સોપવાથી અધિકારી ઉપર કામનું ભારણ રહે છે આ બાબતે જનરલ બોર્ડમાં પણ રજૂઆત કરેલ છે તાત્કાલિક ધોરણે કાર્યપાલક એન્જીનીયરની નિમણુક કરવામાં નહી આવે તો અઠવાડિયામાં એક વખત ધરણા કરવામાં આવશે, જ્યાં સુધી 4 કાર્યપાલક એન્જીનીયરને સીન્યોરીટી, લાયકાત અને અનુભવના આધારે નિમણુક કરવામાં નહી આવે ત્યાં સુધી અઠવાડિયામાં એક દિવસે 11:00 થી 5:00 વાગ્યા સુધી ધરણા કરવામાં આવશે તેવી ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે.