Mysamachar.in-જામનગર:
સતાની સુંદરીનો સુંવાળો સ્પર્શ-અહેસાસ માણવાની કોને ઝંખના ન હોય ?! સંન્યાસીઓ પણ સત્તાના સિંહાસને બિરાજવા આતુર હોય છે, ખેલો કરતાં હોય છે. આ સ્થિતિમાં સ્વાભાવિક છે, જાહેર જીવનમાં ( પુરુષ હોય કે મહિલા) સક્રિય વ્યક્તિઓને ચૂંટણીઓ પહેલાંના દાવેદારીના તબક્કામાં સતા સુધી પહોંચવા તલબ ઉઠતી હોય છે. કેટલાંકને ચળ ઉપડતી હોય છે. કેટલાંક સ્થાનિક આગેવાનોને આસપાસના લોકો કોમ્પ્રેસરનો ઉપયોગ કરી દાવેદારીની દુનિયામાં દોડાવતાં હોય છે ! કેટલાંક મનમાં એમ પણ વિચારતાં હોય છે કે, સૂકામેવાથી ભરપૂર લથબથ લાડુ મારે પણ ખાવો જ છે ! મનમાં લાડુ ફૂટવા કોઈનાં પણ માટે ગુન્હો નથી. દેશમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ‘ ધંધો ‘ કરવા અધિકાર ધરાવે છે. લાલચ સૌને અભડાવી શકતી હોય છે. જાહેર જીવનની વાત હોય કે, નોકરી ધંધાની વાત હોય, મહત્વાકાંક્ષા બૂરી આદત નથી. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે – માણસની મહેચ્છા ‘માપસર’ હોવી જોઇએ. કોઈ પણ પ્રકારનો દાવો કરતાં પહેલાં પ્રત્યેક વ્યક્તિએ જાત નિરીક્ષણ કરવું પડે. સેલ્ફ એસેસમેન્ટ અગત્યની બાબત છે. દાવાની પ્રાથમિક શરત જ – લાયકાત, યોગ્યતા, પાત્રતા, સજ્જતા અને સક્ષમતા છે.
હળદરના ગાંઠિયે ગાંધી ન થઈ શકાય અને શેખચલ્લી કે હસીન સપને જેવાં ઉદાહરણો પણ આપણે સૌએ યાદ રાખવા જ પડે. બોર્ડ પરીક્ષાઓમાં ઝળહળતી સફળતા હાંસલ કરી શકે તેઓ જ ટોચની શૈક્ષણિક કારકિર્દી ઘડી શકે. પરચૂરણ સફળતાઓ જ મોટાં પદો માટેની લાયકાત નથી. મોટાં પદો સુધી પહોંચવા લાંબી મજલ કાપવી પડે, દુનિયા સમક્ષ ત્રેવડ પૂરવાર કરવી પડે.
રાજકારણમાં ચૂંટણીઓ પહેલાંનાં સમયમાં ઉમેદવારી માટેની દાવેદારી નામની સિઝનનો પ્રારંભ થતો હોય છે. ઘણાં તો જો કે, દાવેદારી માટે લલચાઈને આવું કરતાં હોય છે. ઘણાં અન્યને – હરીફોને નડવા માટે પણ દાવેદારી કરતાં હોય છે ! ઘણાં લડી લેવાનું ઝનૂન કે જિદ પણ ધરાવતાં હોય છે. અને, ઘણાંની માનસિકતા એવી પણ હોય છે કે – મારાં ભાગનું સવાશેર માંસ ક્યાં ? લાવો! જોઈએ જ છે !!
ચુંટણીઓમાં દાવેદારી અને ઉમેદવારી, તથા જિતવુ અને વિજય પછી લોકનજરમાં સાર્થક પૂરવાર થવું — આ બધી જ બાબતો અલગ અલગ છે. દુનિયામાં બધાંને બધું મળી જતું નથી. પાત્રતા મોટી બાબત છે. અને પાત્રતા પ્રાપ્ત કરવા કઠોર પરિશ્રમ એથીયે વધુ આવશ્યક ચીજ છે. દાવેદારોની મોટી સંખ્યા દરેક ચૂંટણીમાં, દરેક પક્ષમાં હોય જ છે. તંદુરસ્ત સ્પર્ધા માટે જરૂરી પણ છે. ભિન્ન મતના સન્માન માટે પણ આ બધી બાબતો આવશ્યક પણ છે. પરંતુ આરોગ્યનાં ક્ષેત્રમાં જેમ ડિગ્રીવિહોણો ‘ બોગસ’ તબીબ ઇચ્છનીય નથી એમ જાહેર જીવનમાં પણ નંગ ફૂટપાથની જણસો છે, હીરાઓ પૂરવાર થવું કોઈનાં પણ માટે સહેલી વાત નથી હોતી. અને, અત્યારનો સમય તો એટલો ખતરનાક અને જટિલ છે કે, આટો અને આવરદા હોય એ જ સતાસુખ માણી શકે. સત્તાની સુંદરીનો સુંવાળો સ્પર્શ મેળવી શકે.
જાહેર જીવનની ગુણવત્તા અને ઉપયોગિતા સતત ક્ષીણ થતી રહી છે, આ ટ્રેન્ડ સમાજને, રાજયને, દેશને કઈ દિશામાં ખેંચી જશે ?! એ પણ હાલ ચિંતા તથા ચિંતનનો વિષય છે એ સ્થિતિમાં ચૂંટણીનાં દાવેદારોએ આત્મ નિરીક્ષણ કરવું જરુરી છે અને રાજકીય પક્ષોએ પણ પસંદગીમાં સતર્કતા, જન કલ્યાણની વિશાળ અને ઉદાત્ત ભાવના રાખવાં જરુરી છે, તો જ સમગ્ર સમાજનો સંતુલિત અને સર્વાંગી તથા ઝડપી, સર્વસમાવેશક વિકાસ શક્ય બની શકે.