Mysamachar.in-અરવલ્લી
છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યમાં ગમખ્વાર અકસ્માતોની ઘટનાઓ સામે આવતી જ રહે છે, એવામાં વધુ એક અકસ્માતની ઘટના મોડાસા-ગોધરા હાઈવે પર માલપુર નજીક સામે આવી છે, જ્યાં કારનું ટાયર ફાટતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. માલપુરની ચોરીવાડ ચોકડી નજીક લુણાવાડા તરફથી આવી રહેલી કારનું ટાયર ફાટી ગયું હતું. જેના પગલે કાર ચાલકે સ્ટીયરીંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો અને કાર ડીવાઈડર કુદી રોંગ સાઈડ જતી એક કાર સાથે અથડાઈ ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં જે કારનું ટાયર ફાટી ગયું હતું તેના રીતસર બે ટુકડા થઈ ગયા હતા. જ્યારે કારમાં બેઠેલા જાદરના જગદીશભાઈ પટેલનું તેમજ તેમની સાથેના અન્ય એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. લુણાવાડાથી કાર મોડાસા તરફ આવી રહી હતી તે સમયે આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા. મૃતકના સગા સંબંધીઓ પણ તાબડતોબ માલપુર દોડી આવ્યા હતા.