Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકામાં કેટલીય જગ્યાઓ ખાલી છે અને કા તો ઇન્ચાર્જ કરાર આધારિત કર્મચારીઓ અથવા તો માનીતી મેનપાવર એજન્સીઓ પાસેથી મેનપાવર લઈ તેને “મનીપાવર” આપવામાં આવે છે, ગઈકાલે જામનગર મનપાની મળેલ સામાન્યસભામાં મનપાના ઇન્ચાર્જ સેક્રેટરી અશોક પરમાર નિવૃત થઇ ગયા બાદ તેમને ત્રીજીવાર વખત કોન્ટ્રાકટબેઝમાં મુદ્દત વધારો મંજુર કરવામાં આવ્યો છે. કારણ કે તેવો ખુબ “અનુભવી” છે. માટે શાશકપક્ષ તેને તક મળે તેવો તખતો ગોઠવતું રહે છે. તેવી ચર્ચાઓ મનપામાં સાંભળવા મળતી હોય છે.
મનપાના ઇન્ચાર્જ સેક્રેટરી અશોક પરમાર નિવૃત થયા બાદ તેમને છ-છ માસના ગાળા માટે ફરીથી ફરજ પર લેવામાં આવી રહ્યા છે. ત્યારે ગઈકાલે સામાન્યસભામાં મુદ્દો હતો કે તેમને વધુ છ માસની મુદ્દત વધારાવાનો…. આ મુદ્દો જયારે સામે આવ્યો ત્યારે મનપાના વિપક્ષ નેતા અલ્તાફ ખફીએ કહ્યું કે નીચલી કેડર તૈયાર કરવા અમે કમિશનરને ઘણી વખત રજુઆતો કરી ચુક્યા છીએ, તેણે કહ્યું કે જો નીચલી કેડર તૈયાર કરવામાં નહિ આવે તો એક સમય એવો આવશે કે મનપાને તાળા મારવાની સ્થિતિ પણ ઉભી થશે કારણ કે મોટાભાગના સીનીયર અધિકારીઓ આવતા વર્ષ સુધીમાં રીટાયર્ડ થઇ રહ્યા છે. ત્યારે આ અંગે શાશકોએ વિચારવું જોઈએ.અને અશોક પરમારના છ માસના વધારા સામે વાંધો ના હોવા સાથે અલ્તાફ ખફીએ કહ્યું તેને સેક્રેટરી તરીકેનો પગાર કે ઓફીસ આપવામાં આવતા નથી અને સેક્રેટરીને ના શોભે તેવા કામો તેની પાસેથી લેવામાં આવી રહ્યાનો કટાક્ષ પણ અલ્તાફ ખફીએ કર્યો (અલ્તાફ ખફીએ ગૃહમાં કહેવાની ના પાડી કે આ ક્યાં કામો)
જે બાદ આ જ મુદ્દા પર કોર્પોરેટર આનંદ રાઠોડે કહ્યું કે અમુક શાખાઓની અંદર અમુક અધિકારીઓની જરૂર છે, પણ ભરતીઓ કરવામાં આવતી નથી, જે ભરતીઓ નિયમિત કરવી જોઈએ જેથી મનપાનું તંત્ર વ્યવસ્થિત રીતે ચાલી શકે, જો કે રાઠોડે ઇન્ચાર્જ સેક્રેટરી માટે કહ્યું કે કાયમી માટે ઠરાવ કરી અને અશોક પરમારને લાંબી રેસનો ઘોડો બનાવી દેવા જોઈએ તેવો કટાક્ષ તેવોએ ગૃહમાં કર્યો હતો.