Mysamachar.in-અમદાવાદ:
અમદાવાદ જિલ્લાના ધંધૂકા શહેરમાં માલધારી સમાજના યુવકની અજાણ્યા શખસોએ કરેલી હત્યા કેસમાં પોલીસે બે શંકાસ્પદ આરોપીને ઝડપી લીધા છે. ત્યારે આજે મૃતક યુવકની પ્રાર્થના સભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા. તેમણે મૃતકનાં પરિવારજનો સાથે વાતચીત કરી હતી. ત્યાર બાદ તેમણે મૃતક કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કિશન ભરવાડની માત્ર 20 દિવસની દીકરીને હાથમાં લઈ હર્ષ સંઘવી ભાવુક થયા હતા. તેમણે પરિવારની મહિલાઓની પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે મહિલાઓને ખાતરી આપી હતી કે તેઓ તેમને ઝડપથી ન્યાય અપાવશે.
તેમણે પ્રાર્થના સભા બાદ પરિવારના સભ્યોની હાજરીમાં કહ્યું હતું કે કિશન પર હુમલો થયો એ સામાન્ય હૂમલો નથી. રાજ્ય સરકાર અને ખાસ કરીને અમદાવાદ જિલ્લા પોલીસ દ્વારા ઘટના બનતાંની સાથે જ અલગ અલગ ટીમો બનાવવામાં આવી. આ ટીમોએ રાત-દિવસ એક કરીને કિશનના હત્યારાને પકડી લીધો છે. માત્ર હત્યારા જ નહીં, પરંતુ એની પાછળ જેટલી શક્તિ લાગેલી છે એ તમામ લોકોને 24 જ કલાકમાં અલગ અલગ ખૂણેથી પકડી પાડવામાં આવ્યા છે.