Mysamachar.in-જામનગર:
જામનગર શહેર તથા સમગ્ર હાલાર વિસ્તારમાં અનેકવિધ સેવાક્તિ પ્રવૃતિઓમાં કાર્યરત શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે ગુરૂપૂર્ણીમાના પાવન પર્વના દિવસે જામનગરના ગુરુજનો, આચાર્યો તથા ધો.10 અને ધો.12 માં ઉચ્ચ ગુણાંકો પ્રાપ્ત કરનારા તેજસ્વી વિધાર્થીઓનું સન્માન કરવાનો સમારોહ મ્યુની.ટાઉનહોલમાં ઉત્સાહભેર યોજવામાં આવ્યો હતો. આ સમારોહના પ્રારંભે જામનગરની વી.એમ.મહેતા મ્યુનિ.કોલેજના પૂર્વ પ્રિન્સીપાલ દીલીપભાઈ આશરે ધો.10 અને ધો.12 પછી શું.? તે અંગે વિધાર્થીઓને માર્ગદર્શન આપી પસંદગીના ક્ષેત્રમાં મહેનત કરી ઉજજવળ કારકીર્દી સુનિશ્ચીત કરવા સમજાવ્યું હતું.
સન્માન સમારોહના આયોજક લાલ પરિવારના જીતુભાઈ લાલે સૌનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે અમારા પિતા અને માતાના આર્શિવાદથી અમારા લાલ પરિવારના ટ્રસ્ટો દ્વારા છેલ્લા ધણાં વર્ષોથી સેવાકાર્યો કરવામાં અમે આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ.વેપાર-વ્યવસાય કરવા સાથે સેવાકાર્યો કરવામાં સૌનો સહકારી મળી રહયો છે. જામનગરમાં આરોગ્ય, શિક્ષણ, રમતગમત, ધાર્મીક ઉત્સવો, સામાજીક કાર્યો સહિત વિવિધ ક્ષેત્રોમાં ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિ સાથે એક વટવૃક્ષ સમાન બની રહી છે. કોરોનાકાળમાં ટ્રસ્ટ દ્વારા 30 હજાર ટીફીનની સેવા આપી હતી. સીટી ડીસ્પેન્સરીના સ્થાને નવું બીલ્ડીંગ બનાવવાની સેવાનું સદભાગ્ય પણ મળ્યું છે.આજે કેદાર (માધવ) જીતેન્દ્ર લાલની પુણ્યતિથિ છે અને આજે ગુરૂપુર્ણીમાં પર્વે ગુરૂજનોને વંદન કરવાનો અવસ૨ મળ્યો છે તેમણે સૌને આવકાર આપી સન્માનીત છાત્રોને શુભેચ્છા પાઠવી હતી..
આ સમારોહના અંતે મેનેજીગ ટ્રસ્ટી અશોકભાઈ લાલે ખુબ જ ભાવવિભોર શબ્દોમાં જણાવ્યું કે જીવનમાં ધન કમાવવું જરૂરી છે, પણ સાથે સાથે ધનને યોગ્ય સેવાકાર્યોમાં વાપરવું પણ જરૂરી છે.સમારોહમાં ઉપસ્થિત તમામ છાત્રોને તેમને ભારપૂર્વક જણાવ્યું હતું કે ભણતરમાં ભલે આગળ વધો પણ ભણતર સાથે ગણતર પણ જરૂરી છે. ધો.12 વાળા છાત્રો સંકલ્પ કરે કે તેઓ જીવનમાં આગળ આવી જ પ્રગતિ જાળવી રાખીને ઉચ્ચ પદ પ્રાપ્ત કરે જયારે ધો.10 ના છાત્રો ધો.12 માં વધારે ઉચ્ચ ગુણાંકો મેળવી અમારા ટ્રસ્ટના કાર્યક્રમમાં બે વર્ષ પછી સન્માનના હકકદાર બને અને 50 જેટલા છાત્રોનું સન્માન થયું છે, પણ આગામી વર્ષોમાં અમારે 2000 છાત્રોનું સન્માન કરવું છે. જામનગરના છાત્રો વધુ ને વધુ સિધ્ધિ મેળવે તેવી અપેક્ષા છે.
અશોકભાઈ લાલે સીટી ડીસ્પેન્સરીના સ્થાને રૂપીયા સવા કરોડના ખર્ચે નવું આલિશાન બીલ્ડીંગનું નિર્માણ કરી ફર્નીચર સહીતની સુવિધા ટ્રસ્ટ દ્વારા ઉપલબ્ધ કરાઈ હોવા અંગે ખુબ જ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ વચ્ચે વિજયા દશમીના દિવસે 200 દીકરીઓના સમુહ લગ્ન કરવાના સેવા સંકલ્પની જાહેરાત કરવા સાથે દર વર્ષે તેમની માતાના ઉંમરના વર્ષ પ્રમાણેની સંખ્યામાં દિકરીઓના સમુહ લગ્નો કરવાનો સંકલ્પ પણ જાહેર કર્યો હતો. તેમણે સૌનો હૃદયપૂર્વક આભાર વ્યકત કર્યો હતો. ખાસ કરીને સમારોહમાં ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતી સૌ માટે પ્રેરણારૂપ બની રહી હતી.
આ સમારોહમાં 70 પર્સેન્ટાઈલથી વધુ ગુણાંકો મેળવનાર ધો.10 અને ધો.12 ના છાત્રોને કીટ, પ્રમાણપત્ર આપીને તેમજ ટોપ-10 વિધાર્થીઓને કીટ, પ્રમાણપત્ર તથા મેડલ આપીને સન્માનીત કરાયા હતાં. ત્યારે શહેરની વિવિધ શૈક્ષણીક સંસ્થાના આચાર્યઓનું શાલ ઓઢાડી અને સન્માનપત્ર આપી બહુમાન ઉપસ્થિત મહાનુભાવોના તેમજ જામનગર શહે૨ના મહિલા સંસ્થાના વિવિધ હોદેદારો અને અન્ય વરિષ્ઠ આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું.
-સમારોહમાં ઉપસ્થિત જીલ્લા કલેકટર ડો. સૌરભ પારઘીએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે…
સ્પર્ધાત્મક યુગમાં કોઈપણ ક્ષેત્રમાં અને ખાસ કરીને અભ્યાસમાં સિધ્ધી મેળવવા માટે “નોલેજ કમ્પાઉન્ડીંગ ” અને ચોકકસ દિશાના કોન્સેપ્ટ ખુબ જ જરૂરી છે અને તેમની સફળતાના સંદર્ભમાં વિમાનના ટેક ઓફનું ઉદાહરન્ન આપી સમજાવ્યું હતું કે ચોકકસ દિશામાં શરૂઆત થાય તે ઉપયોગી બની રહયો છે અને દિશા નકકી કરવા માટે જીવનમાં ગુરૂનું મહત્વ છે. મહેનત યોગ્ય દિશામાં કરવામાં આવે તો ચોકકસપણે ધાર્યું પરિણામ મેળવી શકાય છે.તેમણે લાલ પરિવારના ટ્રસ્ટ દ્વારા છાત્રોને જ સન્માનિત કરવા સાથે સાથે આ જે છાત્રોએ સિધ્ધિ મેળવી છે તેવા છાત્રોને આ ઉંચાઈએ લઈ જનારા શિક્ષકો-ગુરૂજનોનું સન્માન કરી સમગ્ર કાર્યક્રમને એક ગુરૂપુર્ણીમાનો અવસર બનાવી દીધો છે. તેમણે લાલ પરિવારના અશોકભાઈ લાલ તથા જીતુભાઈ લાલના સેવાકાર્યોને બિરદાવી સૌને અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા હતાં.
-જીલ્લા વિકાસ અધિકારી મિહીર પટેલે તેમના વકતવ્યમાં કહ્યું કે…
ગુરૂનું મહત્વ પોતાના જીવનના મહત્વના ટર્નીંગ પોઈન્ટ સાથે રજુ કર્યું હતું. યુપીએસસીની પરીક્ષાના ત્રીજા પ્રયત્નમાં તેમને ગુરૂના માર્ગદર્શન અને સૂચન પ્રમાણે ફરીથી ફીલોસોફીનો વિષય પસંદ કર્યો અને સમગ્ર ભારતમાં તે વિષયમાં સર્વાધિક માર્કસ મળ્યા તથા પરીક્ષામાં પણ ઉર્તીણ થઈ અધિકારીના પદે પહોંચ્યા. તેમને સમારોહના માહોલને જોઈને જણાવ્યું કે ઓડીટોરીયમમાં દિકરીઓની સંખ્યા સવિશેષ છે જે ખુબ જ ગૌરવની વાત છે
-DYSP કૃણાલ દેસાઈએ તેમના ટુંકા ઉદબોધનમાં જણાવ્યું હતું કે
લાલ પરિવારે આજે વિધાર્થીઓનું અને વિધાદાતાઓનું સન્માન કરી ગુરૂપુર્ણીમા પર્વને યાદગાર અને ઉજળું બનાવી દીધું છે, સારૂ પરીણામ મેળવનાર છાત્રનું સન્માન કરવાથી તેનો આત્મવિશ્વાસ વધે છે અને અન્ય છાત્રો માટે પણ પ્રેરણારૂપ બની રહે છે. તેમણે આવા પ્રેરણાદાયી અને ગુરૂજનોનું બહુમાન કરવાના કાર્યને બિરદાવી સૌને અભિનંદન આપ્યા હતાં.