Mysamachar.in:જામનગર
ખેતીવાડીની આવકોની માફક જ ઘણાં બધાં ટ્રસ્ટોની આવકો પણ નોંધપાત્ર હોય છે. પરંતુ આ નાણાં અંગેની કોઈ જ વિગતો ક્યારેય જાહેર થવા પામતી નથી ! ટ્રસ્ટની રચના કરીને કરોડોનો કારોબાર કરી શકાય છે. અને, કાયદાઓની છટકબારીઓ શોધીને અથવા સ્થાનિક તંત્રો પર ‘વગ’ વાપરીને, આ કરોડો રૂપિયામાંથી ખાસ્સો એવો હિસ્સો હોશિયાર ટ્રસ્ટીઓ અલગ પણ તારવી શકતાં હોય છે અથવા એ નાણાંમાંથી ચોક્કસ પ્રકારના તાગડધિન્ના અથવા અન્ય અંગત બિઝનેસ પણ સેટ કરી લેતાં હોય છે !
જામનગરમાં પણ ટ્રસ્ટની દુનિયા રંગીન છે. ખાસ કરીને ટ્રસ્ટનાં બેનરની આડમાં ઘણું કરી શકાતું હોય છે ! એમાં પણ આરોગ્ય અને શિક્ષણને આગળ ધરીને, ટ્રસ્ટ મારફતે કરોડો રૂપિયાની હેરાફેરી પણ કરી શકાતી હોય છે ! સેવાનાં નામે મેવા – કાઠિયાવાડમાં જાણીતી કહેવત છે ! અને, આ કહેવતનો કેટલાંક હોંશિયાર લોકો ટ્રસ્ટની દુનિયામાં જબરો ઉપયોગ તથા દુરૂપયોગ કરી લ્યે છે, એમ આધારભૂત સૂત્રો જણાવે છે.
જામનગર શહેર અને જિલ્લામાં કુલ 5,914 ટ્રસ્ટ નોંધાયેલા છે. જે પૈકી અંદાજે પચાસેક ટકા ટ્રસ્ટ એવાં છે જે પરચૂરણ છે. બાકીનાં ચાલીસેક ટકા ટ્રસ્ટ જ્ઞાતિ સમાજોના છે, જેમાં પણ ધારે તો ચતુર માણસ ઘણું કરી શકતો હોય છે ! આ ઉપરાંત આરોગ્ય અને શિક્ષણનાં ક્ષેત્રમાં ખૂબ જ સક્રિય હોય અને ટર્નઓવરની દ્રષ્ટિએ કદાવર હોય એવાં ટ્રસ્ટ પણ ઘણાં છે. આ ટ્રસ્ટનાં ચોપડાઓ ખૂબ જ રસપ્રદ હોય છે, જેમાં ભાગ્યે જ કોઈ ઉંડુ ઉતરે છે ! અને તેથી, ખેતીની તોતિંગ આવક દેખાડતાં લોકોની માફક ટ્રસ્ટની તોતિંગ આવક દેખાડતાં લોકો પોતાની મનમાની ચલાવતાં હોય છે.
ખેતીની આવકને જે રીતે કરમુક્તિનાં લાભો મળે છે એવી જ રીતે ટ્રસ્ટને ફાયદા કરાવવા, સેવા શબ્દની પાછળ ઘણાં કાયદાઓ ભાગ ભજવે છે. કેમ કે, ખેતી અને ટ્રસ્ટનાં ક્ષેત્રમાં વગદારોની સંખ્યા પણ કદાવર છે. તેની સામે વાસ્તવિકતા એ પણ છે કે, સામાન્ય માણસ ખેતીમાં દુઃખી છે. અને, સામાન્ય માણસ ટ્રસ્ટ ચલાવી પણ ન શકે ! ખરેખર કોઈને સેવા કરવી હોય તો પણ !
જામનગરમાં 5,914 પૈકી 394 ટ્રસ્ટ જ એવાં છે જેઓ આસિસ્ટન્ટ ચેરિટી કમિશનર કચેરી સાથે ટ્રસ્ટના હિસાબો સંદર્ભે સક્રિય છે. આ ટ્રસ્ટો પણ સીધી રીતે અને સાચાં હિસાબો રજૂ કરે છે કે કેમ ?! તે પણ તપાસનો વિષય છે. કેમ કે, સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આવા ટ્રસ્ટોને પણ હિસાબો રજૂ કરવા વારંવાર રિમાઇન્ડર મોકલવા પડતાં હોય છે ! શા માટે તેઓ નિયત સમયે, નિયત હિસાબો આપતાં નથી ? તે સમજી શકાય તેવી બાબત છે.
સરકારનો નિયમ એવો છે કે, ટ્રસ્ટોએ પોતાની કુલ વાર્ષિક આવક પૈકી માત્ર બે ટકા રકમ(અથવા, વધુમાં વધુ રૂ.50,000) સરકારી તિજોરીમાં ફાળા તરીકે જમા કરાવવાની હોય છે. એટલે કે, હોસ્પિટલ અને શાળાઓ વગેરે ચલાવતાં ટ્રસ્ટ ભલે કરોડો રૂપિયાનો ધંધો કરતાં હોય, ટ્રસ્ટનાં ઓઠાં હેઠળ તેઓએ માસિક માત્ર ચાર-પાંચ હજાર રૂપરડી સરકારમાં જમા કરાવવાની રહે, બાકીનાં નાણાંથી આનંદ કરવાનો ! અને, ટ્રસ્ટનાં ચોપડે દાનઆવક દેખાડવાના બિઝનેસમાં પણ કરોડો રૂપિયાના કુંડાળા ચિતરાતા હોય છે, જે સૌ જાણે છે.
કાળા રૂપિયાનો રંગ તમારે ધોળો કરવો હોય, રૂપિયો ચોખ્ખો બનાવવો હોય તો, ટ્રસ્ટ નામનું વોશિંગમશીન બેસ્ટ મશીન છે, જેનું નિર્માણ સરકારનાં કાયદાનાં આધારે કરવામાં આવે છે ! અત્રે એ મુદ્દો પણ નોંધનીય છે કે, વગદારોના ટ્રસ્ટો નિયમભંગ બદલ દંડાયા હોય એવું ક્યારેય, કોઈએ સાંભળ્યું નથી ! કોઈ ટ્રસ્ટની ઓફિસ કે ટ્રસ્ટીઓના ઘરેથી તોતિંગ કાળુ નાણું ઝડપાયું હોય, એવાં સમાચારો પણ ક્યારેય વાંચવા કે જોવા સાંભળવા મળતાં નથી ! એ જ દર્શાવે છે કે, ટ્રસ્ટ શબ્દ અફલાતૂન છે, સરકારની કૃપા તેમાં સામેલ હોય છે !! આ આખી રમત આમ આદમીની સમજ બહારની ગેઈમ છે. જે આપણી ‘નેશનલ’ રમત છે. અને, આ રમતોત્સવ વર્ષનાં 365 દિવસ ઉજવાતો રહે છે !