Mysamachar.in-જામનગર:
સામાન્ય રીતે આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં દીવાળી તથા નૂતન વર્ષનાં તહેવારો પછી, લાભપાંચમનાં શુકનવંતા દિવસે ફરીથી ધંધા-રોજગાર તથા માર્કેટ યાર્ડમાં મૂહુર્તનાં સોદાઓ થતાં હોય છે. રાજકોટમાં કૃષિમંત્રીએ ટેકાના ભાવે મગફળીની સરકારી ખરીદીનો આજે પ્રારંભ કરાવી, મૂહુર્ત સાચવી લીધું છે પરંતુ જામનગર માર્કેટ યાર્ડમાં કામકાજો સોમવારથી શરૂ થશે. કેમ કે, વેપારીઓનું મિની વેકેશન હજુ પૂરૂં થયું નથી. અને, આમેય ખેડૂતોને હાલ ટેકાના ભાવે મગફળી વેચાણમાં ખાસ રસ નથી, કેમ કે ઓપન માર્કેટમાં મગફળીના ભાવો ઉંચા છે.
આજે શનિવારે સવારે કૃષિમંત્રી રાઘવજી પટેલએ સૌરાષ્ટ્રનાં સૌથી મહત્વનાં એવાં રાજકોટ માર્કેટ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદી માટેની સરકારી પ્રક્રિયાનો પ્રારંભ કરાવ્યો. સરકાર ખેડૂતો પાસેથી રૂ. 1,170નાં ભાવે (પ્રતિ મણ) મગફળી ખરીદી રહી છે. તેની સામે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મગફળીનાં ઓપન માર્કેટમાં ભાવો રૂ. 1,250-1,350 બોલાઈ રહ્યા છે. ખેડૂતોને મગફળીની ક્વોલિટી મુજબ, ઓપન માર્કેટમાં પ્રતિ મણ રૂ. 200 જેટલો ઉંચો ભાવ મળી રહ્યો છે. આ ઉપરાંત માલના નાણાં પણ રોકડા મળી રહ્યા હોય, સ્વાભાવિક રીતે જ ખેડૂતો મગફળી ઓપન માર્કેટમાં ઠાલવી રોકડી કરી રહ્યા છે.
જોકે, કૃષિમંત્રીનાં જણાવ્યા પ્રમાણે ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા રાજ્યમાં કુલ 65,338 ખેડૂતો હાલ સુધીમાં નોંધણી કરાવી ચૂક્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, છેલ્લાં બે વર્ષથી ખેડૂતો ઓપન બજારમાં મગફળી વેચવી વધુ પસંદ કરે છે. મગફળીનો ઉત્પાદન ખર્ચ વધી ગયો હોય, ખેડૂતોને ટેકાનો ભાવ પોસાતો નથી. આ સ્થિતિમાં નબળો માલ સરકારી ગોદામોમાં જતો હોવાનું બજારવર્તુળો જણાવી રહ્યા છે !
જામનગરની વાત કરીએ તો, યાર્ડ હજુ બંધ છે. વેપારીઓ સોમવારે દુકાનો ખોલશે. દીવાળીનું મિની વેકેશન હજુ પૂર્ણ થયું નથી. જામનગર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના મેનેજર પ્રભુલાલ મણવર કહે છે: ખેડૂતો હાલ ઓપન માર્કેટમાં મગફળી વેચી રહ્યા છે. તેમાં ઉંચો નફો છે. જામનગરમાં ટેકાના ભાવે મગફળી ખરીદી પહેલી નવેમ્બરથી શરૂ થવાની શક્યતા છે. બજારમાં વધુ મગફળી આવશે અને ઓપન માર્કેટમાં ભાવો દબાશે પછી ખેડૂતો સરકારી પ્રક્રિયામાં રસ લેશે, એવું જણાઈ રહ્યું છે. બીજી તરફ, રાજકોટનાં ખેડૂતો એમ પણ કહી રહ્યા છે કે, સરકારે ઉત્પાદન ખર્ચ ધ્યાનમાં રાખી ટેકાનો ભાવ વધારવો જોઈએ.