Mysamachar.in-ગાંધીનગર
શિક્ષણના ખાનગીકરણમાં રાજ્ય સરકાર કેટલી ઉદાર છે તેની વિધાનસભાના ચોમાસું સત્રમાં વિપક્ષે પૂછેલા પ્રશ્નના જવાબ દ્વારા સ્પષ્ટીકારણ થયું છે. વિપક્ષના પૂછેલા શિક્ષણ અંગેના પ્રશ્નના જવાબમાં સરકારે છેલ્લા બે વર્ષમાં ગુજરાત સરકારે જે સરકારી શાળાઓ બંધ કરી છે અને એની સામે જે ખાનગી શાળાઓને મંજૂરી આપી છે તથા જે ખાનગી શાળાઓ ચાલુ છે તેમાં વધારા વર્ગોની મંજૂરી આપાઈ છે. આ બધી વિગતોના આંકડાઓ ગૃહમાં રજૂ કરાયા હતા. રાજ્યમાં હાલ 123 સરકારી પ્રાથમિક શાળાઓને સરકારે તાળા મારી દીધા છે. તેની સામે સરકારે 1,157 ખાનગી પ્રાથમિક શાળાઓને મંજૂરી આપી છે.
આ રીતે તો જેટલી સરકારી શાળાઓ બંધ કરી છે તેનાં કરતાં દસ ગણી વધારે તો ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. એમ જ નહીં જે નવી પ્રાથમિક શાળાઓને મંજૂરી આપવાની સાથોસાથ જે ખાનગી પ્રાથમિક શાળા ચાલી રહી છે તેમાં વર્ગો વધારાની મંજૂરી પણ શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવી છે. જે પ્રમાણે 2,816 એવી ખાનગી શાળા છે જેને વર્ગો વધારાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યમાં 246 નવી ખાનગી હાઈસ્કૂલોને મંજૂરી આપવામાં આવી છે. તેમજ હાલમાં જે ખાનગી હાઈસ્કૂલો રાજ્યમાં શરૂ છે તેમાંથી 69 ખાનગી હાઈસ્કૂલોમાં વર્ગો વધારવાની પણ મંજૂરી આપી દેવામાં આવી છે. સરકારે ગૃહમાં આપેલી આ આંકડાકીય વિગતો પરથી સ્પષ્ટ થાય છે કે છેલ્લાં વર્ષોમાં સંવેદનશીલ સરકારે શિક્ષણનું ઘણી ઝડપથી ખાનગીકરણ કર્યું છે.