Mysamachar.in-ગાંધીનગરઃ
રાજ્યમાં ક્રાઇમને લઇને ચોંકાવનારા આંકડા ખુદ રાજ્ય સરકારે જાહેર કર્યા છે. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ સરકારને પ્રશ્ન પુછ્યો હતો કે રાજ્યમાં લૂંટ, ખુન, ધાડ, ચોરી, બળાત્કાર, અપહરણ, આત્મહત્યા, ઘરફોડ ચોરી, રાયોટીંગ, આકસ્મિક મૃત્યુ, અપમૃત્યુ અને ખુનની કોશિષ અંગે માહિતી આપવી, જેના જવાબમાં સરાકારે માહિતી સંકલિત કરી રજૂ કરી હતી. રાજ્યમાં બે વર્ષમાં લૂંટના 2491, ખુનના 2034, ધાડના 559, ચોરીના 25923, બળાત્કારના 2720, અપહરણના 5897 કેસ નોંધાયા હોવાનું જણાવવામાં આવ્યું છે.
વાત હાલારના બંને જિલ્લાઓની કરીએ તો સરકારે જાહેર કરેલી માહિતી પ્રમાણે દેવભુમી દ્વારકામાં છેલ્લા બે વર્ષમાં લૂંટના 6, ખુન 19, ધાડના 3, ચોરીના 111, બળાત્કારના 35, અપહરણના 35, આત્મહત્યાના 243, ઘરફોડ ચોરીના 37, રાયોટિંગના 30, આકસ્મિક મૃત્યુના 479, અપમૃત્યુના 622 અને ખુનના પ્રયાસના 29 કેસ નોંધાયા છે. તો જામનગરની વાત કરીએ તો છેલ્લા બે વર્ષમાં આ જિલ્લામાં લૂંટના 38, ખુન 40, ધાડના 7, ચોરીના 414, બળાત્કારના 56, અપહરણના 120, આત્મહત્યાના 567, ઘરફોડ ચોરીના 150, રાયોટિંગના 93, આકસ્મિક મૃત્યુના 1198, અપમૃત્યુના 1765 અને ખુનના પ્રયાસના 90 કેસ નોંધાયા છે.
ઉલ્લેખનીય છે કે સરકારે રજૂ કરેલા આંકડાઓ મુજબ રાજ્યમાં દરરોજ 3-4 ખૂનના બનાવો નોંધાયા છે. જેમાં સુરત જિલ્લામાં 292, અમદાવાદમાં 249, રાજકોટમાં 129 ખૂન કેસ નોંધાયા છે. રાજ્યના આ ત્રણ મહાનગરોની સ્થિતિ ગંભીર છે જ્યારે ત્યારબાદ કચ્છ, વડોદરા અને ભાવનગરમાં ખૂનના બનાવો વધારે નોંધાયા છે. છેલ્લા બે વર્ષમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં નોંધાયેલા ખૂનના આંકડા ડબલ ફિગરમાં છે. છેલ્લા બે વર્ષમાં વડોદરામાં 87, કચ્છમાં 83, ભાવનગરમાં 84 ખૂન કેસ નોંધાયા છે. તક્યારબાદ દાહોદમાં 70, બનાસકાંઠા- પંચમહાલમાં 69 ખૂન કેસ નોંધાયા છે. રાજ્યના સૌથી મોટા શહેરો ધરાવતા અમદાવાદ અને સુરતમાં ખૂન સાથે ખૂનની કોશિષના ગુનાઓ પણ સૌથી વધુ નોંધાયા છે. અમદાવાદમાં બે વર્ષમાં 368 ખૂનની કોશિષના ગુનાઓ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 282 ગુનાઓ નોંધાયા છે.