Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા મતદારયાદી સુધારણા તથા આધાર લિંક સાથે મતદારોને જોડવા માટેની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે પ્રદર્શન મેદાનમાં ચાલી રહેલા શ્રાવણી મેળામાં પણ સ્ટોલ ઉભા કરીને મેળામાં આવનારા નાગરિકો સ્થળ પર જ આધાર લિંક સાથેનું જોડાણ કરાવશે, તે મતદાર નાગરિકને મેળામાં ‘ફ્રી રાઈડ વિથ આઈસ્ક્રીમની ભેટ’ પણ અપાશે. જે અંગેનો નવતર પ્રયોગ હાથ ધરાયો છે.
જામનગર જિલ્લામાં તારીખ 1/10/2022 ની લાયકાત સંદર્ભે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અને આધાર લિંક અંગે વધુમાં વધુ લોકો સહભાગી થાય, તેના અનુસંધાને જામનગરના જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારધી, અધિક કલેકટર મિતેશ પંડ્યા, તથા શહેર વિભાગના પ્રાંત અધિકારી આસ્થા ડાંગર દ્વારા નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે.જામનગરના પ્રદર્શન મેદાનમાં ચાલી રહેલા શ્રાવણી મેળામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંગે નો વિશેષ સ્ટોલ ઉભો કરવામાં આવ્યો છે, જ્યાં તારીખ 10/8/2022 થી 12/8/200 સુધી ત્રણ દિવસ માટે સાંજે 7:00 થી રાત્રે 10:00 વાગ્યા સુધી મેળામાં આવનારા નાગરિકો ચૂંટણી કાર્ડ સાથે પોતાના આધાર લિંકની સુવિધા મેળવશે, તે તમામ મતદારોને સ્થળ પર જ આધાર લિંક કરાવી આપ્યા પછી તેઓને મેળામાં ફ્રી રાઈડ વિથ આઈસ્ક્રીમની ગિફ્ટ પણ આપવામાં આવશે.