Mysamachar.in:જામનગર
જામનગર સહિત રાજ્યભરમાં આગામી 7 મે એ તલાટીભરતી માટેની પરીક્ષા યોજાનાર છે. જામનગરમાં આ માટે કુલ 84 પરીક્ષાકેન્દ્રોની વ્યવસ્થા ચાલી રહી છે. જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ આ અંગેની કામગીરી કરી રહેલા નાયબ જિલ્લા વિકાસ અધિકારી અંગત મંડોતએ Mysamachar.in સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે,
આ પરીક્ષા માટે જામનગર શહેર અને તાલુકાના મળી 70 શાળા કોલેજોના કુલ 84 યુનિટના 794 વર્ગખંડોમાં પરીક્ષા કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં કુલ 8.64 લાખ ઉમેદવારોએ આ પરીક્ષા માટે સરકારમાં સંમતિપત્ર જમા કરાવ્યા છે. પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું છે કે, આ પરીક્ષા સંબંધે ઉમેદવારોને જે-જે પ્રશ્નો થઈ રહ્યા છે, જે મુશ્કેલીઓ સામે આવી રહી છે તેનાં જવાબો શોધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આગામી તા.07/05/2023 ના રોજ ‘તલાટી મંત્રી’ સંવર્ગની ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે. આ પરીક્ષાના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેક્ટર બી.એ.શાહના અધ્યક્ષપણા હેઠળ જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેક્ટર બી.એન.ખેર તેમજ જિલ્લા શિક્ષણાધિકારી સાથે ‘જિલ્લા પરીક્ષા સમિતિ’ ની રચના કરવામાં આવી છે. જામનગર શહેરના તથા તાલુકાના મળીને કુલ 70 શાળા/કોલેજોના 84 યુનિટના 794 વર્ગ ખંડોમાં કુલ 23, 820 ઉમેદવારો પરીક્ષા આપનાર છે.
આ પરીક્ષા માટે પરીક્ષા કેંદ્રો પર કેંદ્ર સંચાલક, સુપરવાઈઝર, ઈન્વિજીલેટર, ક્લાર્ક, પટાવાળા અને સી.સી.ટી.વી. સંચાલક તરીકે 1729 જેટલો સ્ટાફ ફરજ બજાવશે. જે શાળા/કોલેજો પાસે પૂરતો સ્ટાફ ઉપલબ્ધ ના હોય, તો તેવા કેંદ્રોને સરકારી શિક્ષકો પૂરા પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત, દરેક કેંદ્ર પર બોર્ડ પ્રતિનીધિ તથા સી.સી.ટી.વી. ઓબ્ઝર્વર તરીકે 180 થી વધુ સ્ટાફને મુકવામાં આવ્યો છે. પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ના થાય તે માટે ડાયરેક્ટર, ડી. આર.ડી.એ. ને મુખ્ય ઓબ્ઝર્વર તરીકે અને તાલુકાના મામલતદારોને તાલુકા ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કરેલા છે. જેઓ તમામ પરીક્ષા કેંદ્રો ઉપર ચાંપતી નજર રાખશે.
તમામ પરીક્ષા કેંદ્રો સી.સી.ટી.વી. થી સજ્જ છે. જે સંસ્થાઓ પાસે સી.સી.ટી.વી. ના હોય, તો તેઓને એજન્સી પાસેથી ભાડેથી સી.સી.ટી.વી. મેળવીને કામચાલઉ ફીટીંગ કરી આપવામાં આવ્યા છે. પરીક્ષાલક્ષી તમામ કામગીરી સી.સી.ટી.વી. / વિડીયોગ્રાફી સર્વેલન્સ હેઠળ કરવામાં આવશે. પરીક્ષાલક્ષી સીલબંધ સાહિત્ય જિલ્લા મથકે હથિયારધારી પોલીસ / એસ.આર.પી. ની દેખરેખ હેઠળ સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવશે. આ સાહિત્યને પરીક્ષા કેંદ્રો સુધી પહોંચાડવા માટે 21 રૂટ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં વર્ગ- 1/2 કક્ષાના અધિકારી સાથે એક આસિસ્ટન્ટ, હથિયારધારી પોલીસ અને વિડીયોગ્રાફર મુકેલા છે. આ તકે, ઉમેદવારોને કોઈ અનધિકૃત વ્યક્તિઓ પાસેથી પરીક્ષાલક્ષી સાહિત્ય નહીં મેળવવા તાકીદ કરવામાં આવે છે. તેમજ રાજ્ય સરકાર દ્વારા આવી ગેરરીતિઓ માટે કડક કાયદો પણ ઘડવામાં આવેલો છે. તેમ જિલ્લા વિકાસ અધિકારી જામનગર વિકલ્પ ભારદ્વાજની યાદીમાં જણાવાયું છે.