Mysamachar.in:જામનગર
જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં જ્યારથી ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર તરીકે સી.એસ.પાંડિયનને ચાર્જ સોપવામાં આવ્યો છે ત્યારથી ફાયર શાખા ચર્ચામાં વધુ આવી રહી છે, મરજી મુજબ લેખિત અને મૌખિક ઓર્ડરો કરી અને બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, તો જામનગર મનપાની ફાયર શાખામાં નોકરીમાં ભરતી માટે કેટલાકે ગોટાળા કર્યાની પણ કેટલીક વિગતો સામે આવી છે જેની ખરાઈ થઇ રહી છે. એવામાં સરકારની સુચના હોય તો જ કામ થાય તેવું આ શાખાએ વધુ એક વખત સ્પષ્ટ કરી આપ્યું છે, મનપા દ્વારા જાહેર કરેલ અખબારી યાદી કહે છે કે.
જામનગરમાં રાજ્ય સરકારના આદેશ અનુસાર ફાયર સેફ્ટીના સાધનોનું ફીટીંગ કરવામાં આવ્યું હોય તે તમામ સ્થળો પર ફાયર શાખાની જુદી જુદી ટીમ દ્વારા અકસ્માતના સમયમાં બચાવ કામગીરી વિશે માર્ગદર્શન કેમ્પનું આયોજન મનપા દ્વારા કરવામાં આવી રહ્યું છે.(એટલે કે સરકારનો આદેશ હતો નહિતર કરવામાં ક્યાં રસ છે તેવું થયું તેમ ને..?)
શહેરની કોમર્શિયલ બિલ્ડીંગો, એપાર્ટમેન્ટ સ્કૂલ, કોલેજ, ટ્યુશન ક્લાસીસ હોટેલ અને હોસ્પિટલ, આવાસ યોજના જેમાં ફાયર સેફટીના સાધનોનું ફીટીંગ કરવામાં આવ્યું હોય, તેવી શહેરની કોમર્શિયલ બિલ્ડીંગો અને રહેઠાણોમાં ફાયર શાખાના સ્ટાફ દ્વારા ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માહિતી પૂરી પાડવા માટે નિયમિત વિવિધ સ્થળો પર ફાયર શાખાની ટીમ દ્વારા તાલીમ આપવામાં આવે છે. જામનગર મહાનગર પાલિકાની ફાયર શાખા દ્વારા આ સપ્તાહ દરમિયાન શહેરની વિવિધ શાળા હોસ્પિટલ માં ફાયર શાખાના સ્ટાફે ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ અકસ્માતના સમયે કેવી રીતે કરવો તેની તાલીમ આપી હતી.
જેમાં આણદાબાવા અનાથાલય, ગીરીરાજ કોમ્પલેક્ષ, હોટેલ ફોર્ચ્યુન, ભગદે હોસ્પિટલ, સોલંકી હોસ્પિટલ, ભગવતી યુરોલોજિસ્ટ હોસ્પિટલ, પુનાતર હોસ્પિટલ, ઓમ ન્યુ બોન્ ચાઈલ્ડ કેર, મેઘધારા આયુર્વેદિક હોસ્પિટલ, શાલીગ્રામ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, જયુ હોસ્પિટલ, શ્રી મેટરનીટી હોસ્પિટલ, કરંગીયા હોસ્પિટલ તેમજ વિભાપર પ્રાથમિક શાળા ના બાળકોને આપાતકાલીન પરિસ્થિતિમાં કેવી રીતે સ્વ બચાવ કરવો તે અંગે મોકડ્રીલનું આયોજન કરી બાળકોને ફાયર શાખાના સ્ટાફે સ્વ બચાવની તાલીમ આપી હતી, તેમજ જેકુરબેન સોની કન્યા વિદ્યાલય, સરસ્વતી પ્રાથમિક શાળા, ક્રિષ્ના હોસ્પિટલ અને નેવી ઓફિસર તેમજ નેવીના સ્ટાફને પણ ફાયર સેફટીના સાધનો અંગે જામનગર ફાયર ના સ્ટાફે માહિતગાર કર્યા હતા.આગામી સમયમાં પણ જામનગર ચીફ ફાયર ઓફિસર કે.કે.બિશ્નોઈના માર્ગદર્શન મુજબ આ પ્રકારની ફાયર શાખાની તાલીમની કામગીરી યથાવત રાખવામાં આવશે.