Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
ખંભાળિયામાં રહેતા અને ઓટો કન્સલ્ટન્ટ પેઢીના સંચાલક એવા એક શખ્સે કેટલાક આસામીઓ પાસેથી વેચાણ કરવા માટે મોટરકાર મેળવી અને તેના બદલામાં રકમ ન આપી ચુનો ચોપડવા અંગેની ધોરણસર ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયામાં રામનાથ મંદિરની પાછળના ભાગે રહેતા અને તાલુકા પંચાયત કચેરીમાં અધિકારી તરીકે ફરજ બજાવતા મેસુરભાઈ ખીમાભાઈ આંબલીયા વ્યક્તિ એ અત્રે શક્તિનગર વિસ્તારમાં આવેલા નારાયણ નગર ખાતે રહેતા મારખીભાઈ નેભાભાઈ હાથલીયા નામના શખ્સ સામે પોલીસમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.આ સમગ્ર બનાવની પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ ફરિયાદી મેસુરભાઈ આંબલીયાએ પોતાની જી.જે. 01 બી.એ. 2868 નંબરની સ્વીફ્ટ મોટરકાર અત્રે રેલવે સ્ટેશન રોડ આગળ મહાદેવ ઓટો કન્સલ્ટ નામની કારની લે-વેચ ધરાવતી એક પેઢીના સંચાલક એવા મારખીભાઈ હાથલીયાનો સંપર્ક કરી, તેમની વાત ઉપરથી ફરિયાદી મેસુરભાઈએ આરોપી મારખીભાઈને પોતાની સ્વિફ્ટ ગાડીની આરસી બુક, પી.યુ.સી., વીમા પોલિસી સહિતના બધા અસલ ડોક્યુમેન્ટ આપી દીધા હતા અને રૂપિયા બે લાખ એંસી હજારમાં વેચાણ અંગેનો સોદો નકકી થયાનું જણાવી, ટી.ટી.ઓ. ફોર્મમાં સહી લઇ અને આ રકમ તેઓ બે-ચાર દિવસમાં આપશે તેમ જણાવ્યું હતું.
પરંતુ આ બાબતને ખાસ્સો સમય પછી પણ મારખીભાઈએ ચુકવવાની થતી રકમ મેસુરભાઈને ના આપતા તેમને ફોન કર્યો હતો અને મારખીભાઈનો ફોન બંધ આવતા તેઓ મહાદેવ ઓટો કન્સલ્ટ નામની ઓફિસે રૂબરૂ જતાં આ ઓફિસ બંધ જોવા મળી હતી. ત્યાં તેમની પૂછપરછમાં આ ઓફિસ ઘણા સમયથી બંધ હોવાનું અને મારખીભાઈ ખંભાળિયા મૂકીને જતા રહ્યા હોવાનું મેસુરભાઈને જાણવા મળ્યું હતું.ફરિયાદી મેસુરભાઈ આંબલીયાની વધુ પૂછતાછમાં મહાદેવ કન્સલ્ટવારા મારખીભાઈએ અન્ય ત્રણ આસામીઓ પાસેથી પણ આ પ્રમાણે જ કાર મેળવી અને બારોબાર વેંચી માર્યાનું પણ તેમના ધ્યાને આવ્યું હતું.આથી આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે મેસુરભાઈ આંબલીયાની ફરિયાદ પરથી મારખીભાઈ હાથલીયા સામે ચાર જેટલા આસામીઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરવા સબબ આઈ.પીસી. કલમ 406 તથા 420 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.