Mysamachar.in-જામનગર
રાજ્યભરમાં હાલ કોરોના મહામારી ચાલી રહિ છે, અને દરેક પ્રસંગો પણ સીમિત લોકોની હાજરીમાં ઉજવવાની માંડ મંજુરી છે ત્યાં જ જામનગર શહેરમાં આવેલ આરામ હોટેલમાં સોશ્યલ ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ કરી ક્રિએટીવ એક્ઝીબીશનમાં ભારે ભીડ એકત્ર થઇ રહી હોવાની માહિતી મળતા મનપાની એસ્ટેટ વિભાગની ટીમના રાજભા ચાવડા, સુનીલ ભાનુશાળી આ એક્ઝીબીશન બંધ કરાવવા ટીમ સાથે આરામ હોટેલમાં પહોચ્યા હતા, ટીમ બંધ કરાવવા માટે પહોચતા પહેલા તો મનપાના સ્ટાફ સાથે રકઝક ચાલી બાદમાં પોલીસને બોલાવવાની ફરજ પડી અને અંતે આરામ હોટેલમાં ચાલી રહેલ આ એક્ઝીબીશન બંધ કરાવી અને મનપાની ટીમે આગળની દંડનીય સહિતની જરૂરી કાર્યવાહી હાથ ધર્યા બાદ આ મામલે સીટી બી ડીવીઝન પોલીસે પણ કડક કાર્યવાહી કરી જે જાહેરનામાંનો ભંગ કરશે તેની સામે કાર્યવાહી તો થશે તેવું ઉદાહરણ આપી દીધું છે.,
આરામ હોટેલમાં ક્રિએટીવ એકઝીબિશન આયોજિત કરનાર ભગીરથસિંહ જયવંતસિંહ જાડેજા રે.રાજકોટ કૈલાશપાર્ક યુનીવર્સીટી રોડ સામે ધી એપેડેમીક ડીસીઝ એકટ 1897ની કલમ 3 તથા IPC કલમ 188, 270 તથા ગુજરાત પોલીસ અધીનિયમન 1951ની કલમ 139 તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 2005ની કલમ 51બી મુજબ ‘’હોટલ આરામ’’ ના ક્રિસ્ટલ બેન્કવેટ હોલમાં ક્રિએટીવ નામથી એકઝીબીશન રાખી સોસીયલ ડીસ્ટન્સ રખાવ્યા વગર અને પાંચથી વધારે ગ્રાહકો રાખી તેમજ પુર્વમંજુરી વગર જાહેરપ્રદર્શન (મેળાવડો)નુ આયોજન કરી આવતા ગ્રાહકોને સોશીયલ ડીસ્ટન્સની જાળવણી કરાવ્યા વગર વેપાર કરી પ્રજામાં ચેપીરોગ કોરોના વાયરસ ફેલાઈ તેવી બેદરકારી દાખવવા સબબ ગુન્હો દાખલ કરી સીટી બી ડીવીઝન પોલીસે આકરી કાર્યવાહી કરી છે.