Mysamachar.in-જામનગર
જામનગર જિલ્લામાં અબોલ પશુઓમાં પણ બીમારીનું પ્રમાણ વધ્યું છે. ત્યારે જિલ્લામાં માલધારી તેમજ પશુપાલકો સરકારી પશુ ચિકિત્સા અધિકારીઓની ઘટને કારણે પરેશાન હોવાની સામે ખાનગી પ્રેકટીશ કરતા પશુ ડોકટરો લુંટી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે, જામનગર જિલ્લા પશુપાલન વિભાગમાંથી મળતી વિગત મુજબ જામનગર જિલ્લામાં હાલમાં 20 પશુ ડોકટરોની જરૂર છે. જેની સામે 09 પશુ ડોકટરો હોવાથી ઘટ ના કારણે સમસ્યા સર્જાય છે. અને પશુધન નિરીક્ષકની 17ની જગ્યા સામે હાલમાં 13 નિરીક્ષકો હોવાથી કામગીરીમાં અસર જોવા મળી રહી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું
વધુમાં મળતી વિગત મુજબ જામનગર જિલ્લામાં જામનગર ઉપરાંત ફલ્લા, અલીયાબાડા, લાખાબાવળ, ધ્રોલ, લતિપુર, જોડિયા, કાલાવડ, કાલાવડના મોરવાડી, ખરેડી, મોટી માટલી, નવાગામ, લાલપુર, મોડપર, ખડખંભાળિયા, જામજોધપુર, સમાણા, માંડાસણ, તરસાઇ પાસે સરકારે લાખો કરોડોના ખર્ચે પશુ દવાખાના બનાવ્યા હોય પરંતુ મુખ્ય એવા પશુ ડોકટરની ઘટના કારણે મોટા ભાગના દવાખાના શોભાના ગાંઠીયા સમાન બની ગયા છે
જ્યારે પ્રાથમિક પશુપાલન કેન્દ્રો જામનગર જિલ્લામાં 16 આવેલ છે જેમાં બેડ, ચેલા, જામવંથલી, ભેંસદડ, મોટા ઇટાળા, બાલંભા, હડિયાણા, મોટા વડાળા, નાની ભલસાણ, મોટા ખડબા, ભણગોર, પડાણા, સડોદર સોનવડીયા, શેઠવડાળા ખાતે પશુધન નિરીક્ષક તરીકે ડીગ્રીવાળા ઓફીસરની જગ્યા આવેલી હોય આ જગ્યામાં 17ની સામે હાલમાં 13 અધિકારી ફરજ બજાવી રહ્યા છે.
-એનીમલ હેલ્પલાઇન પણ કારગત નથી નીવડતી
સરકાર દ્વારા તાજેતરમાં એનીમલ હેલ્પ લાઇન સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં મર્યાદીત વાહનોનો સમાવેશ કરાયો છે. આ વચ્ચે ગામડામાં પશુ ડોકટરની સરકારે જગ્યા ઉભી કર્યા બાદ ઘટ જોવા મળતા પશુપાલકો ભારે પરેશાન છે. અને પ્રાઇવેટ પ્રેકટીશ કરતા અમુક પશુ ડોકટરો દ્વારા મજબુરીનો લાભ લઇને માલધારી અને પશુપાલકો પાસેથી બેફામ લુંટ ચલાવતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. વધુમાં ચર્ચાતી વિગત મુજબ પશુ દવાખાનાના તરફ અત્યાર સુધીમાં કોઇનું ધ્યાન ન જવાથી અમુક પશુ ડોકટરો ખાનગી પ્રેકટીશ કરતા હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.
આમ કોરોનાની મહામારી સામે જામનગર જિલ્લાના અબોલ પશુઓ બીમારીથી પીડાઇ રહ્યા હોવાની સામે પશુ ડોકટરોની ઘટથી પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલ માલધારી સમાજ તેમજ પશુપાલકો પરેશાન હોવાથી તાકીદે પશુ ડોકટરોની ભરતી કરવા માંગણી ઉઠી છે.