Mysamachar.in:જામનગર
જામનગર સહિત રાજ્યભરમાં તહેવારોની ઉજવણી સાથે-સાથે ચૂંટણી તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. ટિકિટ દાવેદારોના મનમાં લડુ ફૂટી રહ્યા છે પરંતુ ટિકિટ મેળવવાનું સદભાગ્ય સૌને સાંપડતું હોતું નથી ! ચૂંટણી જિતવા કરતાંયે કઠિન છે, ટિકિટ મેળવવી ! ખાસ કરીને, શાસકપક્ષમાં દાવેદારોની સ્થિતિ જાણવાલાયક છે. મોદી-શાહના ગણિત સિવાય એક પણ ફેકટર ટિકિટ ફાળવણીમાં ચાલવાનું નથી, એવી સ્પષ્ટતા વધુ એક વખત જાહેર કરવામાં આવી છે. અને, બહુ બળ કર્યા પછી પણ જો કોઈને ટિકિટ ન મળે તો પણ, કોઈએ મોઢું બગાડવાનું નથી. મોઢું બગાડવાનો અધિકાર પણ ઝૂંટવી લેવાયો ! કહીએ, એટલું જ કરો.
આ પ્રથા, આગામી વિધાનસભા ચૂંટણીમાં દાખલ કરી દેવામાં આવી છે અને એ પણ જાહેરમાં ! આ ચેતવણી શાસકપક્ષમાં શિસ્તના નામે આપી દેવામાં આવી છે અને તમામ સતા મોદી-શાહ પાસે જ રહેશે. કેટલાંક લોકો એવું પણ પૂછી રહ્યા છે કે, આ સ્થિતિમાં પક્ષનાં સંસદીયદળની સતા, ટિકિટ ફાળવણીમાં આપોઆપ સમાપ્ત ?! પક્ષમાં લોકશાહી ખત્મ ?! એવી પણ ચર્ચા છાને ખૂણે શરૂ થયાનું જાણવા મળે છે !
શાસકપક્ષના પ્રદેશ પ્રમુખ શનિવારે રાજકોટમાં હતાં. તેઓએ નવું પક્ષ કાર્યાલય રાજકોટ ભાજપાને અર્પણ કર્યું. સાથો-સાથ, ટિકિટ ફાળવણી બાબતે પણ વધુ એક વખત સ્પષ્ટતા કરી. પાટિલે કહ્યું: આપણે સૌ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની સૌનો સાથ, સૌનો વિકાસની વિચારધારાને વરેલા છીએ. આપણે સૌ તેઓ પ્રત્યે ભરોસાની ઉત્કટ લાગણી ધરાવીએ છીએ. આગામી ચૂંટણીમાં ટિકિટ ફાળવણી તેઓ જ નક્કી કરશે. કોઈને ક્દાચ, ટિકીટ ન મળે તો પણ કોઈને આ બાબતે નારાજ થવાનો અધિકાર નથી. સૌએ પોત-પોતાને સોંપવામાં આવેલી જવાબદારીઓનું વહન કરવાનું છે અને એક માત્ર લક્ષ્ય રાખવાનું છે- ચૂંટણી જિતવાનું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી વિધાનસભા ચૂંટણી ગુજરાત ઉપરાંત દેશનું પણ ભવિષ્ય નક્કી કરશે. કારણ કે, આ ચૂંટણીનાં પરિણામો 2024 ની લોકસભા ચૂંટણી સાથે પણ સંકળાયેલા રહેશે. કેમકે, ગુજરાત વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીનું હોમસ્ટેટ એટલે કે ગૃહરાજ્ય છે. આ ચૂંટણીનાં પરિણામો મોદી-શાહની પ્રતિષ્ઠા સાથે સંકળાયેલા રહેશે. તેથી ટિકિટ ફાળવણી તેઓ જ કરશે, સ્વાભાવિક રીતે જ, એમ સમજાઈ રહ્યું છે. આ અગાઉ પણ પ્રદેશ પ્રમુખ આ મતલબનું નિવેદન આપી ચૂક્યા છે. તેઓ નિવેદનનો પુનરોચ્ચાર કરી પક્ષનાં તમામ નેતાઓ અને કાર્યકરોને આ મુદ્દે માનસિક રીતે સજ્જ કરી રહ્યા છે.
અત્રે એ પણ નોંધનીય છે કે, શાસકપક્ષના સંખ્યાબંધ આગેવાનો ચૂંટણી લડવા ઇચ્છુક છે. સરકારમાં ગોઠવાઈ જવા આતુર છે. વરિષ્ઠ નેતાઓ સહિતના પચ્ચીસેક ટકા આગેવાનોની ટિકીટો કપાઈ જવાની છે તે નિશ્ચિત છે ! ત્યારે, ટિકિટ ફાળવણી પછી પક્ષમાં કોઈ પણ પ્રકારની ગેરશિસ્ત ન સર્જાય અથવા તો એવી કોઈ અનિચ્છનિય ઘટનાઓ ન બને તે માટે, આ વખતે પ્રથમ વખત ખુદ પ્રદેશ અધ્યક્ષનાં મુખે આ પ્રકારની સ્પષ્ટતા બે વખત થઈ છે, જે દર્શાવે છે કે – ભાજપા એટલે માત્ર મોદી અને શાહ, એ સમીકરણ પક્ષમાં જબરદસ્ત રીતે ઉપરથી લાદી દેવામાં આવ્યું છે. અને, સૌએ આ સમીકરણ ફરજિયાત સ્વીકારવાનું જ રહેશે,
એવાં મતલબની સ્પષ્ટતા પણ પ્રદેશ પ્રમુખ શનિવારે રાજકોટમાં કરી ચૂક્યા છે ! આ ચૂંટણીમાં, આ એક નવો પ્રયોગ છે. જે કદાચ, 2024 ની લોકસભા ચૂંટણીમાં પણ અમલમાં મૂકવામાં આવશે, એવું હાલ દેખાઈ રહ્યું છે. તેનો એક અર્થ એ પણ થઈ શકે છે કે, ગુજરાત ભાજપામાં કોઈ પણ પ્રકારનો જૂથવાદ કે લોબિંગ ચાલી શકશે નહીં. મોદી-શાહની સર્વોપરિતા સૌ માટે બંધનકર્તા રહેશે. આટલું આજથી નક્કી.