Mysamachar.in-જામનગર:
જામનગર શહેરના ઘાંચીવાડ તેમજ અન્ય આસપાસના વિસ્તારો ને જિલ્લા કલેકટર દ્વારા કન્ટેઇન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરાયા પછી સમગ્ર વિસ્તારને સીલ કરી દેવાયો છે. ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે રાત્રેથી જ સમગ્ર એરિયાને સેનેટાઇઝડ કરવાની કામગીરી હાથ ધરી લેવામાં આવી હતી. ખુદ મ્યુનિ.કમિશનર જાતે જ સમગ્ર વિસ્તારમાં ફર્યા હતા અને સફાઈ અને આરોગ્યની કામગીરીનો પ્રારંભ કરાવી દીધો હતો. 70થી વધુ આરોગ્યની ટુકડીઓ ઘરે-ઘરે સર્વે કરી રહી છે. ઉપરાંત સફાઈ કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને યોગ્ય સાફ સફાઈ થાય તે માટે અલગ-અલગ ટીમો ને કાર્યરત કરી દેવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સતીશ પટેલ તેમજ ડેપ્યુટી કમિશનર એ. કે.વસ્તાણી વગેરે ગઈકાલે રાત્રે ઘાંચીવાડ સહિતના વિસ્તારમાં પહોંચી ગયા હતા. અને ફાયર બ્રિગેડ ની ટીમ, હેલ્થ વિભાગની ટીમ, સેનિટેશન વિભાગની ટૂકડી વગેરેને સ્થળ પર જ બોલાવી લીધી હતી. અને તમામ ચાંપતા પગલાં ભરવાનું શરૂ કરી દેવાયું હતું. સૌપ્રથમ ફાયર બ્રિગેડ શાખાના ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઇ તેમજ રાજભા જાડેજાની રાહબરી હેઠળ સમગ્ર વિસ્તારને સેનેટૉઈઝડ કરવામાં આવ્યો હતો.
જે મહિલાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે તે મહિલાના રહેણાંક મકાન અને આસપાસના સમગ્ર વિસ્તારને શેનીટાઈઝડ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત આસપાસના વિસ્તારમાં પણ મોડી રાત્રી સુધી સેનિટૉઇઝેશન નું કામ હાથ ધરવામાં આવ્યું હતું.સાથોસાથ જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ૭૦થી વધુ ટુકડીઓને દોડતી કરવામાં આવી છે. ડો. ઋજુતા બેન ભટ્ટ અને ડો.પંડ્યા ની રાહબરી હેઠળ ઘરે-ઘરે જઈને સર્વે કરવામાં આવી રહ્યો છે. અને જરૂરી લોકોના આરોગ્યની પરીક્ષણ કરી સેમ્પલો એકત્ર કરવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત સોલિડવેસ્ટ શાખા દ્વારા સમગ્ર વિસ્તારને ગઈકાલે રાત્રે થી જ સાફ કરવામાં આવી રહ્યો છે. અને જરૂરી દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકાના કંટ્રોલીંગ અધિકારી મુકેશ વરણવા ના માર્ગદર્શન હેઠળ અલગ અલગ છ ટુકડીઓ બનાવી સમગ્ર એરિયામાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે તેમજ સફાઈ કામદારોની ૧૫ કર્મચારીઓની ટુકડી મારફતે સમગ્ર એરીયા ને સાફ કરવામાં આવી રહ્યો છે.જામનગર મહાનગરપાલિકા દ્વારા કન્ટેઇન્ટમેન્ટ એરિયા માં પૂરતા તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. જેનું ખૂદ મ્યુનિ.કમિશનર સતીશ પટેલ જાતે મોનીટરીંગ કરી રહ્યા છે.