Mysamachar.in-જામનગર
જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઉર્જામંત્રી અને જામનગરના પ્રભારીમંત્રી સૌરભ પટેલની ઉપસ્થિતિમાં સત્રની પ્રથમ સામાન્ય સભા યોજાઇ હતી. આ સભામાં મંત્રીએ ઉદ્યોગકારોને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરી આગળ વધવા અને નવા ઉદ્યોગ અને નવા ઉદ્યોગોની એન્ત્રપ્રિન્યોરશીપ માટેની ધગશ ધરાવતા લોકોને આગળ વધવા આહવાન કર્યું હતું. જામનગરમાં બ્રાસ ઇન્ડસ્ટ્રીઝનો બહોળો વિકાસ થયો છે ત્યારે સરકાર દ્વારા જામનગરના નાના ઉદ્યોગકારોને પણ આગળ આવવા માટે લાભ થાય તે વિશે ધ્યાન આપવામાં આવશે તેમ મંત્રીએ ઉમેર્યુ હતું.
આ તકે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાએ અને પાસ પ્રમુખઓએ મંત્રીનું સ્વાગત કર્યું હતું મંત્રીના હસ્તે જામનગર ચેમ્બર ઓફ કોમર્સના સામયિકનું વિમોચન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ પશ્ચિમ ભારતની સૌથી જૂની ચેમ્બર ઓફ કોમર્સ છે. ભારતમાંથી નિકાસ થતા વિશ્વના વપરાશના 2.9 ટકા બ્રાસમાં 2.16 ટકા જેટલું બ્રાસ એકમાત્ર જામનગર નિકાસ કરે છે. ત્યારે જામનગરના એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગોનો પણ વિકાસ થાય તે માટે નવી જી.આઇ.ડી.સીઓ, નવનિર્મિત ઉદ્યોગોને અવિરત વિજ પુરવઠા માટેની ખાત્રી મંત્રીએ આપી હતી.