Mysamachar.in:જામનગર
સમગ્ર સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં વીજક્ષેત્ર ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે પરંતુ કમનસીબી એ છે કે, વિપક્ષ અને શાસકપક્ષને આ ક્ષેત્રની પારદર્શિતા રહસ્યમય કારણોસર માફક નથી આવતી ! દુઃખની વાત એ પણ છે કે, પ્રત્યેક પ્રમાણિક વીજગ્રાહક આ ક્ષેત્રમાં ચાલતી ઉઘાડી લુંટ અને ગુંડાગીરી પ્રત્યે ચૂપ છે ! આવાં ગ્રાહકો ઘરોમાં તથા ઓફિસ અને દુકાનોમાં વીજબચત કરી, સંતોષ માની લ્યે છે ! વીજચોરીનો માર તેઓનાં ખિસ્સા પર પડે છે, છતાં તેઓ ચૂપ !!
વીજચોરી ઝડપી લેવા અથવા તેવો દેખાવ કરવા – થોડાં થોડાં દિવસે તંત્ર લશ્કર લઇને રોડ પર ઉતરી પડે છે. તસવીરો ખેંચાવે છે. અને પછી, વીજચોરી ઝડપી લીધી હોવાનાં આંકડા જાહેર કરે છે. આ બધું જ નાટક છે ! વીજચોરી ઝડપી લેવા કેટલો ખર્ચ થાય છે ?! ઝુંબેશ દરમિયાન મોટાં વીજચોરો ઝડપાઈ જતાં નથી ! ખેતી અને ઉદ્યોગો તથા હોટેલો જેવાં કોમર્શિયલ એકમોમાં તોતિંગ વીજચોરી થાય છે, છતાં તેઓ સલામત ! ઝુંબેશ દરમિયાન જેઓને વીજપૂરવણી બિલો આપવામાં આવે છે તેઓ પૈકી મોટાભાગના વીજચોરો અદાલતમાં ‘નિર્દોષ’ પૂરવાર થાય છે ! કેમ ?! તંત્ર પાસે વીજચોરીના પુરાવાઓ નથી હોતાં ?! કે, તેઓ પણ એક પ્રકારની ‘પોલીસ’ જ છે ?! અને, વધુ એક મહત્વનો મુદ્દો : વીજચોરીઓનાં કિસ્સાઓમાં તંત્રનાં ગદારોની સામેલગીરી નથી હોતી ?!
સમગ્ર રાજયની વાત કરીએ તો, સૌથી વધુ વીજચોરી સૌરાષ્ટ્રમાં થાય છે ! અને, આંકડાઓ અનુસાર, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વીજચોરો રાજકોટ ગ્રામ્ય અને જામનગરમાં વસવાટ કરે છે ! તોતિંગ વીજચોરીઓ ઝડપાઈ જાય છે તેવાં કિસ્સાઓમાં તંત્રનાં જવાબદાર અધિકારીઓને ‘જવાબદાર’ શા માટે લેખવામાં આવતાં નથી ?! વીજચોરી પણ દારૂબંધી જેવો વિષય કેમ બની ગયો છે ? બધું જ ઓપન પરંતુ બધું જ સિક્રેટ !!
આંકડાઓ કહે છે : ભાવનગરમાં રૂ.29 કરોડની વીજચોરી, જામનગર શહેર અને જિલ્લામાં રૂ.25 કરોડની વીજચોરી, રાજકોટ ગ્રામ્યમાં રૂ.23 કરોડની વીજચોરી અને રાજકોટ સિટીમાં રૂ.20 કરોડની વીજચોરી ! આ બધાં મથકોના સાહેબો મરચાં ખાંડી રહ્યા છે ?! તેઓ પર ‘રાજકીય’ દબાણ છે ?! કે, તેઓ મલાઈ તારવી રહ્યા છે ? સૌ પ્રમાણિક વીજગ્રાહકો પણ જાગો, મોંઘવારીનાં મારથી બચવા તમારી નજીકનાં વીજચોરને ગુપ્ત રીતે ઉઘાડાં પાડી દો. ફાયદો તમને થશે.