Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લો ભૂકંપ સિસ્મિક ઝોન 4 માં આવે છે, અને ધરતીની પેટાળમાં હિલચાલો ચાલુ રહે છે, ત્યારે જામનગર જીલ્લામાં અવારનવાર અને તેમાય છેલ્લા કેટલાક દિવસોથી જામનગરની ધરા વારંવાર ધ્રુજી રહી છે, અને જામનગર જીલ્લામાં સતત હળવા ભૂકંપના આચકા નોધાઇ રહ્યા છે. ગઈ કાલ બપોરે બાદથી આજે વહેલી સવાર સુધીના બે દિવસમાં પાંચ આંચકા અનુભવાયા હતા. પરંતુ આ આંચકાઓમાં કોઈ ખાસ તીવ્રતા હોતી નથી માટે ક્યારેક લોકોને તેનો અનુભવ થાય છે તો ક્યારેક નથી થતો ગઈકાલે 3:39 વાગ્યે 2.5ની તીવ્રતા ધરાવતો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેનું કેન્દ્ર બિંદુ લાલપુરથી 31 કિમી દુર કાલાવડ પંથકનું બાંગા ગામ નોંધાયું હતું. અને ગઈકાલે જ સાંજે 6:40 વાગ્યે 1.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો જેનું કેન્દ્રબિંદુ કાલાવડ નજીક દુધાળા ગામ નજીક નોંધાયું હતું.
તો ગઈકાલે જ એટલે કે સોમવારે વધુ એક આંચકો અનુભવાયો હતો, જે સાંજે 7:34 વાગ્યે 2.5ની તીવ્રતા ધરાવતો હતો, આ આંચકો પણ કાલાવડ પંથકના બાંગા ગામેથી કેન્દ્રિત થયો હતો. તો આંચકાઓની વણથંભી વણજાર વચ્ચે આજે એટલે કે મંગળવારે મોડી રાત્રે 2:08 વાગ્યે 2.2ની તીવ્રતા ધરાવતો આંચકો અનુભવાયો હતો. આ આંચકાનું કેન્દ્રબિંદુ લાલપુરથી 18 કિમી દુર કાલાવડ તાલુકાનું કરણા ગામે નોંધાયું છે. જયારે વહેલી સવારે 6:11 મીનીટે 2.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે જેનું કેન્દ્ર બિંદુ લાલપુરથી 31 કિમી દુર કાલાવડ પંથકમાં દુધાળા ગામ નજીક નોંધાયું છે.આમ ભૂકંપ સિસ્મિક ઝોનમાં આવતા જામનગર જીલ્લામાં છાસવારે લોકો આવા સામાન્ય આંચકોઓ થી તો જાણે ટેવાઈ ગયા હોય તેમ સામાન્ય આંચકોમાં તો લોકો ધ્યાન પણ નથી આપતા પણ હા તીવ્રતા વધુ હોય તો ભય જરૂરથી ઉભો થાય છે. પણ આવું ક્યારેક જ બને છે. બાકી આંચકાઓ આવે અને જાય તેવું હોય છે.