Mysamachar.in:જામનગર
તાજેતરમાં કૃષિમંત્રીનાં માધ્યમથી રાજય સરકારે જાહેર કર્યું છે કે, ગત્ વર્ષની માફક આ વર્ષે પણ ડુંગળી અને બટાટાના ઉત્પાદક ખેડૂતોને સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવશે. આ ઉપરાંત ચણા અને રાયડો વગેરેની ટેકાના ભાવે ખરીદીની પણ જાહેરાત થઈ ચૂકી છે ત્યારે, જામનગર માર્કેટ યાર્ડમાં શું સ્થિતિ છે ? તે જાણવું આવશ્યક છે. જામનગર માર્કેટ યાર્ડમાં આજે 10 માર્ચ આવી ગઈ હોવા છતાં હજુ સુધી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ થવા પામી નથી જેથી ખેડૂતોમાં ઉચાટ જોવા મળી રહ્યો છે.
કાલે ગુરૂવાર સુધી એમ સંભળાતું હતું કે, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે હજુ સુધી તંત્ર દ્વારા બારદાનની વ્યવસ્થા કરવામાં આવી નથી ! આજે જામનગર માર્કેટ યાર્ડ સાથે સંકળાયેલા સૂત્રોનાં જણાવ્યા અનુસાર, આવતીકાલે શનિવારથી યાર્ડમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ થવાની શક્યતા છે. તે માટે તૈયારીઓ અને વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. બીજી બાજુ ડુંગળીની વાત કરીએ તો, ડુંગળીની નાફેડ દ્વારા મોટાપાયે ખરીદી કરવામાં આવશે પરંતુ આ ખરીદી માત્ર મહુવા, ગોંડલ અને પોરબંદર માર્કેટ યાર્ડમાં જ થશે.
જામનગર માર્કેટ યાર્ડમાં જે ખેડૂતો ડુંગળી વેચશે તેઓનાં વેચાણ બિલ અને 7/12નાં ઉતારા વગેરેનાં આધારે, ગત્ વર્ષની માફક આ વર્ષે પણ સરકાર દ્વારા ખેડૂતોને પ્રતિ કિલો રૂ.2ની સહાય ચૂકવી આપવામાં આવશે. જો કે આ માટે પણ હજુ સુધી રાજય સરકાર અથવા સ્થાનિક તંત્રો દ્વારા માર્કેટ યાર્ડ, જામનગર સાથે કોઈ જ સંકલન કરવામાં આવ્યું નથી ! આવતીકાલે શનિવારે અથવા સોમવારે માર્કેટ યાર્ડ સાથે આ વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી શક્યતા છે. ટૂંકમાં, આજની તારીખે જામનગર માર્કેટ યાર્ડમાં ચણા અને રાયડો તથા ડુંગળી અંગે કશું જ જાણવાલાયક નથી. કોઈ વ્યવસ્થા હજુ સુધી કરવામાં આવી નથી.