Mysamachar.in-જામનગર
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની સૂચના મુજબ હાલ જામનગર જિલ્લા પંચાયત હેઠળની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોના વધના બદલી કેમ્પ ચાલી રહ્યા છે. આ બદલી કેમ્પમાં સરકારી નિયમોનું અર્થઘટન ઉમેદવારને જોઈને કરવામાં આવતું હોવાની ફરિયાદો ઊઠી રહી છે.એક તરફ જિલ્લામાં 99 જેટલી પ્રાથમિક શાળામાં ધોરણ 6 અને 7 ના વર્ગો બંધ કરી દેવાયા છે, ત્યારે મર્જ થતી શાળાઓ તેમજ હાલ જરૂરિયાત કરતા પ્રાથમિક વિભાગમાં ધોરણ 1 થી 5 ભણાવતા શિક્ષકોની ખૂબ મોટા પ્રમાણમાં વધ થતા આવા વધમાં આવતા શિક્ષકોને નજીકની શાળા કે ગામમાં મુકવામાં સીનીયોરીટીનો ભંગ થતો હોવાની ફરીયાદો પ્રાથમિક શિક્ષણ નિયામક સુધી પહોંચી છે.
કેમ્પ અગાઉ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તૈયાર કરેલ ઓવરસેટઅપના શિક્ષકોને બદલવાના બદલે છેલ્લી ઘડીએ અન્ય શિક્ષકને બોલાવી ઓવરસેટઅપ ગણી દેવામાં આવતા હોવાની ફરિયાદ ધ્રોલ અને જામનગર તાલુકાના બદલી કેમ્પમાં જોવા મળી છે.તાલુકાએ બનાવેલ લીસ્ટ વિરુદ્ધ બદલી કરી નિયમ વિરૃદ્ધ મનમાની થતી હોવાની ચર્ચા પણ અમુક શિક્ષકોમાં છે. તો જાણવા એવું પણ મળે છે કે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ દ્વારા કરવામાં આવેલ શિક્ષકોની યાદીમાં અમુક યાદીઓમાં રાતોરાત ક્યાંક કઈક ફેરફાર થયો હશે તેને કારણે કેટલાક શિક્ષકોએ વાંધા અરજી આપવી પડી હશે કે કેમ તે પણ તપાસ માંગી લેતો વિષય છે.
– જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એન.દવે એ સ્પષ્ટ કર્યું કે…
આ મામલે ચાલી રહેલ ચર્ચાઓ અને સત્ય શું તે જાણવા માટે જયારે જામનગર જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એન.દવેની ટેલીફોનીક પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેવોએ કહ્યું કે તમામ છ તાલુકાની કાર્યવાહી પૂર્ણ થઇ ચુકી છે, અને આજે જનરલ બદલી કેમ્પ છે, આટલા બધા શિક્ષકોના કેમ્પની કાર્યવાહી વખતે માત્ર બે ચાર વાંધા અરજીઓ મળી છે, અમારા દ્વારા સરકારના શિક્ષણ વિભાગના ઠરાવો અને પરિપત્રોને ધ્યાને રાખીને તમામ કાર્યવાહી થઇ રહી છે, કોઈ શિક્ષકોને અસંતોષ નથી, 23/5/2012 નો શિક્ષણવિભાગનો ઠરાવ અને તેને આનુસંગીક ઠરાવોને ધ્યાને લઈને વધની બદલીઓ કરાઈ રહી છે,અને તમામ કાર્યવાહી નિયમ મુજબ થઇ છે.