Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગર પાલિકાની સ્લમ શાખા કલાકારીગરીમાં કાઈ કમ નથી, ભૂતકાળમાં આ શાખાએ કેટલાય ગોટાળાઓ કર્યાનું જગજાહેર થયું છે, અરે શૌચાલયમાં તો તત્કાલીન અધિકારીઓ સામે એસીબીએ ગુન્હો નોંધવો પડ્યાની નોબત આવી હતી, અને હજુ આવા જ કેટલાક કૌભાંડો દબાયેલા પણ હોય શકે.. તેવી શંકાઓ છે. હા કોઈની જગ્યામાં આવાસ ખડકી અને બાદમાં મોટો ખેલ ખેલાડીઓએ પાડ્યો હતો તે મામલો ભારે ચર્ચામાં રહ્યો હતો, તેમાં જનરલબોર્ડમાં ઇન્ક્વાયરીના આદેશ બાદ શું કાર્યવાહી કંટ્રોલીંગ અધિકારી અને નાયબ ઈજનેર સામે શું થઇ તેની વિગતો મેળવાઈ રહી છે. અને સમગ્ર મામલે કંટ્રોલીંગ અધિકારી, અને નાયબ ઈજનેર સહિતના બચવા માટે હવાતિયા મારી રહ્યા છે, અને દોષનો ટોપલો કન્સલ્ટન્ટને દંડ કરી દીધો એટલે કામ પૂરું તેમ કહીને પૂરું કરવાની વેતરણમાં છે, એવામાં તાજેતરમાં જ સામે આવેલ મનપાના ઓડીટમાં આ શાખાની કેવી મનમાની કરી અને દસેય આંગળીઓ ઘીમાં બોળી રાખતી હશે તે સામે આવ્યું છે.
ઓડીટના અહેવાલ વર્ષ દરમ્યાન આવાસ બાંધકામ અન્વયે સ્લમશાખા દ્વારા માહિતી ઓડીટ વિભાગને રજુ કરવામાં આવેલ, શાખા દ્રારા અહેવાલ વર્ષ દરમ્યાન ચાલુ કામ અંગે જ ઓડીટને માહિતી રજુ કરાયેલ ખરેખર માંગ્યા મુજબ પુર્ણ કરવામાં આવેલ કામો અંગે ઓડીટને કોઇ માહિતી રેકર્ડ રજુ કરાયેલ નથી. મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ કેટલા આવાસો પુર્ણ કરવામાં આવેલ ? પુર્ણ કરાયેલ પૈકી કેટલા આવાસો એલોટ કરવામાં આવેલ ? કેટલા આવાસો બાકી છે ? કેટલાનું પાર્ટ પેમેન્ટ આવેલુ છે જેવી કોઇ વિગતવાર માહિતી ઓડીટને સ્લમ શાખા દ્વારા રજુ કરાયેલ નથી. જે આધાર સહ ઓડીટ રજુ કરી ખરાઇ કરાવવાની ટકોર કરાઈ છે.પણ શા માટે આવી રેકોર્ડ આધારિત માહિતી છુપાવવામાં આવતી હશે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.