Mysamachar.in-અમદાવાદ
અત્યારે કોરોનારૂપી આફત સમગ્ર રાજ્ય પર ચાલી રહી છે, ત્યારે આફતને અવસરમાં પલટનાર બીજું કોઈ નહિ પરંતુ અમુક ઘરના જ અમુક હોય તો.? આવું જ થયું છે અને આવો જ એક દાવ જામનગર જીજી હોસ્પીટલના રેસીડેન્ટ તબીબે કર્યો છે, વાત કઈક એવી છે કે થોડા દિવસો પૂર્વે અમદાવાદમાં ઈન્જેક્શનની કાળાબજારી કરવાના ચકચારી પ્રકરણમાં જામનગરની જીજી હોસ્પીટલના રેસીડેન્ટ તબીબનું નામ ખુલતા સોલા પોલીસ દ્વારા જામનગરની જી.જી. હોસ્પિટલના ડોક્ટરની અટકાયત કરવામાં આવી હતી. આ ડોક્ટરે પ્રાથમિક પૂછપરછમાં ખૂલાસો કર્યો કે તેણે પોતાના કાકા ભૂપત બલદાણિયાના નામે પ્રિસ્ક્રિપ્શન બનાવીને જી.જી.માંથી રેમડેસિવિર ઈન્જેક્શન મેળવી લીધા હતા. હાલ આ તબીબને સાબરમતી જેલના હવાલે કરાયો હોવાનું જાણવા મળે છે,
આ સમગ્ર પ્રકરણ કઈક એ રીતે સામે આવ્યું હતું કે અમદાવાદના એસ.જી. હાઈ-વે પર સોલા પોલીસે જય શાહ નામના યુવકની 6 રેમડેસિવિર ઈન્જેક્શન સાથે અટકાયત કરી અને પૂછપરછ શરુ કરી હતી તેની પૂછપરછમાં તેણે આ ઈન્જેક્શન સુરતના ડો. મિલન સુતરિયા, કીર્તિ દવે અને જુહાપુરાની રૂહી પઠાણે આપ્યા હોવાનું ખૂલતા પોલીસે ત્રણેયની અટક કરી પૂછપરછ કરતા તપાસ દરમિયાન જામનગરની જી.જી. હોસ્પિટલમાં રેડિયોલોજી વિભાગમાં એમ.ડી.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતા ડો. ધીરેન બલદાણિયાએ રૂા.8 હજારમાં આપ્યા હોવાનું બહાર આવતા સોલા પોલીસે જામનગરથી ડો.ધીરેનને ઉપાડી લઇ અને પૂછપરછ શરુ કરી હતી,
સુરતના આરોપી ડો. કીર્તિ અને ડો. ધીરેન બંને સાથે ભણતા હતા ત્યારે બંનેને ઓળખાણ થઈ હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ધીરેને જણાવ્યું હતું કે, તેણે પોતાના કાકાને શરદી, ઉધરસ થયા હોવાનું પ્રિસ્ક્રિપ્શન મૂકી જી.જી.માંથી રેમડેસિવિર ઈન્જેક્શન મેળવી સુરતમાં વેચી માર્યા હતા. જો કે આ મામલે જામનગર એમપી શાહ મેડીકલ કોલેજના સતાવાળાઓએ કહ્યું કે ડો. ધીરેન બલદાણિયા રેડિયોલોજી વિભાગના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે, તેણે શનિવારથી પોતે પોતાના અંગત કામથી રજા ઉપર જઈ રહ્યો છે માટે હાજર નહીં રહે તેવો ફક્ત કાગળ આપ્યો છે, બાકી પોલીસ કે અન્ય ડિપાર્ટમેન્ટ તરફથી કોલેજને કાગળ કે કોઈ માહિતી મળી નથી.જે મળશે તો જ આગળની કાર્યવાહી મેડીકલ કોલેજ દ્વારા કરવામાં આવશે.