Mysamachar.in:જામનગર
સરકારનાં વિવિધ વિભાગો ઔદ્યોગિક કામદારોની સલામતી અને સુરક્ષા માટે વિવિધ કાયદાઓ અંતર્ગત જરૂરી વિગતો એકત્ર કરતાં હોય છે. જેમાં કામદારોનું વેતન પણ મહત્ત્વનો મુદ્દો છે. નોકરીદાતાઓ આ કામદારોને નિયમ મુજબ વેતન ચૂકવે છે કે કેમ ? એ પ્રશ્નનો જવાબ મેળવવાની જવાબદારી ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગને સોંપવામાં આવી છે પરંતુ જામનગરની આ કચેરી આ દિશામાં ખાસ કોઈ કામગીરી કે કાર્યવાહી કરતી હોય એવું જણાતું નથી !
Mysamachar.in દ્વારા ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગને લખવામાં આવ્યું હતું કે, જામનગર શહેર અને જિલ્લામાં ઔદ્યોગિક કામદારોને નોકરીદાતાઓ દ્વારા આપવામાં આવતાં વેતન સંબંધે આપની કચેરી દ્વારા વર્ષ 2021-22 માં શું કામગીરી અથવા કાર્યવાહી કરવામાં આવી ? તેની સંપૂર્ણ વિગતો જણાવો. પરંતુ આ કચેરીએ વિગતો છૂપાવી છે ! આ કચેરી ઈચ્છતી નથી કે, લોકો આ કચેરીની કામગીરી અંગે કશું જાણી જાય.
ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ નામની આ કચેરી ઉદ્યોગકારો અને કારખાનેદારો સંબંધિત વિગતો શા માટે છૂપાવે છે ?! આ કચેરી કોઈ નિયમ વિરુદ્ધની પ્રવૃતિઓ કરે છે ? આ કચેરી સરકારની વહીવટી પારદર્શિતા અંગે આટલી ઉદાસીન શા માટે છે ?! આ કચેરીએ પોતાના કામો છૂપાવવા શા માટે પડે છે ?! આ કચેરીની પ્રવૃતિઓ શંકાસ્પદ હોવાનું સમજાઈ રહ્યું છે !
ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે Mysamachar.in દ્વારા પૂછવામાં આવેલાં પ્રશ્નનો ગોળગોળ અને અધૂરો જવાબ આપ્યો છે ! કચેરીએ જણાવ્યું છે કે, જામનગર શહેર અને જિલ્લામાં વર્ષ 2021-22 દરમિયાન કામદારોનાં વેતન સંબંધિત કુલ 3 ફરિયાદ મળી હતી. સંબંધિત સંસ્થાની રૂબરૂ મુલાકાત લઈ આ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.
અહીં મહત્વનો મુદ્દો એ છે કે, આ કચેરીએ આ 3 નોકરીદાતાઓનાં નામો છૂપાવ્યા છે ! આ નોકરીદાતાઓ વિરુદ્ધ ફરિયાદ શું હતી ? તે ફરિયાદોની વિગતો પણ છૂપાવી છે ! આ કસૂરવાર સંસ્થાઓ વિરુદ્ધ ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે શું કાર્યવાહી કરી ? નોટિસ આપી હતી કે કેમ ? જવાબ મેળવ્યો છે કે કેમ ? નિયમ પ્રમાણે આ સંસ્થાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે કે કેમ ? શું કાર્યવાહી કરી ? દંડ કર્યો હતો કે કેમ ? વગેરે વિગતો છૂપાવવા પાછળ આ કચેરીનો આશય શું છે ?!
અને, આવડાં મોટા શહેર જિલ્લામાં બધાં જ ઔદ્યોગિક નોકરીદાતાઓ વેતન સંબંધિત તમામ નિયમોનું પાલન કરે છે કે કેમ ? તે અંગે આ કચેરીએ વર્ષ દરમિયાન શું કામગીરી કરી ? તેની વિગતો પણ આ કચેરી છૂપાવી રહી છે ! જેને કારણે આ કચેરીની કાર્યપદ્ધતિ આપોઆપ શંકાનાં દાયરામાં આવી જાય છે.