Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
જામનગર નજીક આવેલ દેવભૂમિ દ્વારકા જીલ્લો ધીમે ધીમે હવે ક્રાઈમનગરી બની ગયો હોય તેવા દ્રશ્યો રોજબરોજના બનવા લાગ્યા છે, આ જીલ્લામાં પોલીસ દાદાનો જાણે ડર ના રહ્યો તેમ ગુન્હેગારો એક બાદ એક હત્યાઓ સહિતના ગુન્હાઓને અંજામ આપવા લાગ્યા છે, છેલ્લા દસ દિવસ જેટલા સમયગાળામાં જ દેવભૂમિ દ્વારકા જીલ્લાના અલગ અલગ તાલુકાઓમાં ઉપરાછાપરી હત્યાના બનાવો પોલીસની ધાક આ જીલ્લામાં ખત્મ થઇ ગઈ હોવાનો પરિચય આપે છે, જો કે પોલીસ માટે મહત્વનું એ રહ્યું છે કે જે હત્યાના બનાવો સામે આવ્યા છે તેમાંથી મોટાભાગના હત્યાના બનાવોનો ભેદ ઉકેલી નાખવામાં પોલીસ સફળ રહી છે, આ તમામ વચ્ચે આજે વધુ એક હત્યાની ઘટના દ્વારકા જીલ્લાના મીઠાપુરમાં સામે આવતા ચકચાર મચી જવા પામી છે,
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર પંથકમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન બીજી હત્યા સાથે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગતરાત્રે હત્યાનો ત્રીજો બનાવ સામે આવ્યો છે, જેમાં મીઠાપુર વિસ્તારમાં 35 વર્ષીય યુવાનને મોડી રાત્રીના સમયે રિસામણે બેઠેલી પત્નિને મળવા ગયેલા આ યુવાનને તેના જ સાસરિયા પક્ષના સભ્યોએ હથિયારો વડે જાનથી મારી નાખવાનો બનાવ સામે આવ્યો છે. આ ચકચારી બનાવની વિગત મુજબ દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા ખેંગારભા નામના યુવાનને તેમની ધર્મપત્ની સમજુબેન સાથે કોઈ બાબતનું મનદુઃખ હોય, છેલ્લા આશરે બે માસથી સમજુબેન તેઓના પાંચ વર્ષિય પુત્ર આર્યન સાથે પોતાના માવતરે રિસામણે બેઠી હતી.
આ દરમિયાન ગત રાત્રીના આશરે સવા વાગ્યાના સમયે ખેંગારભા માવતર રહેલા પત્ની સમજુબેનને મળવા સુરજકરાડીના શક્તિનગર વિસ્તારમાં જતા કોઈ કારણોસર ઉશ્કેરાઈ ગયેલા તેમના સાસરિયા પક્ષના કેટલાક સભ્યોએ પાઈપ, કુહાડી જેવા હથિયારો વડે તૂટી પડયા હતા. પત્નીના રિસામણે હોવા બાબતનો ખાર રાખી, તીક્ષ્ણ અને ઘાતક હથિયારો વડે ખેંગારભાઈ પર સાસુ, સાળા અને પત્નિ તૂટી પડતાં તેઓ ઘટના સ્થળે જ ફસડાઈ પડયા હતા અને લોહીલુહાણ હાલતમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. બનાવને પગલે દ્વારકા પી.આઈ. પી.બી. ગઢવી તથા મીઠાપુરના પી.એસ.આઇ. સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતક ખેંગારભાના મુતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરી હતી.