Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દ્વારકા તાલુકાના વરવાળા ગામે ગઇકાલે એક વિપ્ર યુવાનની કરપીણ હત્યાનો બનાવ સામે આવ્યો હતો, જે બનાવમાં હત્યારાઓ બીજા કોઈ નહિ પરંતુ મૃતકની પત્ની અને પ્રેમી જ હોવાનું સામે આવ્યું છે, પ્રેમમાં અંધ બનેલી પત્નીએ પ્રેમી સાથે મળીને પતિનું કાસળ કાઢી નાખ્યાનો ભેદ દ્વારકા એલસીબી અને એસઓજી ટીમે ગણતરીની કલાકોમાં ખોલી નાખ્યો છે, શનિવારની રાતે દ્વારકા તાલુકાના વરવાળા ગામે રહેતા અને છૂટક કામ કરતા અરવિંદ વરજાંગભાઈ અસવાર નામના 36 વર્ષીય રાજગોર બ્રાહ્મણ યુવક પોતાના ઘરની અગાસી પર સુતો હતો,જ્યારે તેમના પત્ની તથા બે નાના સંતાનો નીચેના રૂમમાં સૂતા હતા. આ દરમિયાન પરિવારજનોને જાણવા મળ્યા મુજબ વજનદાર પત્થરના ઘા ઝીંકી અને યુવકની હત્યા નીપજાવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું,
જો કે આ ઘટનાની પ્રાથમિક તપાસ કરતા પોલીસને મૃતકની પત્ની પર શંકા હતી અને તે જ દિશામાં આગળ વધીને પોલીસ તપાસ કરતા પોલીસની શંકા સાચી ઠરી અને હત્યારુ બીજું કોઈ નહી પરંતુ પત્ની અને તેનો પ્રેમી જ નીકળ્યા છે. દ્વારકા એસઓજીમાં ફરજ બજાવતા ASI મહમદ બલોચ અને PC ધમભા જાડેજાને આ હત્યા બાદ ચોક્કસ બાતમી મળી હતી કે અરવિંદ અશ્વારનું ખુન અરવિંદની પત્ની પુનમને પ્રેમ કરતા એજાજ કાસમ ગજ્જણે કર્યું છે,અને એ દિશામાં તપાસ આગળ વધારી અને પહેલા એજાજ અને બાદમાં પુનમને ઝડપી પાડી પુછપરછમાં હત્યાનું કોકડું ઉકેલાઈ ગયું છે,
આરોપી એજાજની આગવી ઢબે પુછપરછ કરતા તેણે કઈ રીતે પોતાની પ્રેમિકાની સાથે મળી તેના પતિની હત્યા નીપજાવી તેનો ખુલાસો પોલીસ સમક્ષ કરી નાખ્યો છે, મૃતકની પત્ની પુનમ અને એજાજે સાથે મળીને તેને મોતને ઘાટ ઉતારવાનું નક્કી કરી લીધા બાદ પૂનમે પોતાના પતિ અરવિંદને ઘેનની ગોળીઓ ખવડાવી અને એજાજને બોલાવી લીધો હતો જે બાદ પ્રેમી એજાજએ તેના પર વજનદાર પત્થરનો ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધાનું કબુલ કરતા આ ચકચારી હત્યા કેસનો ભેદ ઉકેલાઈ ગયો છે. અને દ્વારકા એલસીબી અને એસઓજીની ટીમને સફળતા મળી છે.