Mysamachar.in-જામનગર
જામનગર PGVCL સર્કલ હેઠળ આવતા દરેડ જીઆઇડીસીના વીજકૌભાંડમાં અનેક સચોટ રજુઆતો બાદ કોર્પોરેટ કચેરી રાજકોટ એમ.ડી. શ્વેતા ટીયોટીયા દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા હતા, અને તપાસ શરુ થઇ, PGVCLના સુત્રોના જણાવ્યા પ્રમાણે તપાસમાં ફલિત થઇ ચુક્યું છે, કે કૌભાંડ છે અને આ કોઈ નાનુસુનું નહિ પરંતુ કરોડોનું અને લાંબા સમયથી ચાલતું કૌભાંડ સામે આવી ચુક્યું છે, છતાં રાજકીય આકાઓનું પીઠબળ મેળવી સમગ્ર કૌભાંડને રફેદફે કરવા સંડોવાયેલ અધિકારી અને કર્મચારી રીતસરના ઉધામા નાખી રહ્યા છે, અને તેમાં તેને રાજકીય પીઠબળ પણ મળી રહ્યું છે તેવી ચર્ચાઓ જાણકારો કરે છે,
જેને કારણે દીવા જેવા ચોખ્ખા માનવામાં આવતા કૌભાંડમાં માત્ર મહિનાઓથી તપાસના નાટકો ચાલી રહ્યા છે, અને તપાસો લંબાયા જ કરે છે, આટલું મોટું ગાજતું કૌભાંડ છતાં કોઈ માહિતી જાહેર નથી થતી કે નથી લેવાતા પગલા…. ત્યારે જાણકારોમાં અને PGVCL વર્તુળમાં આ મામલે સંડોવાયેલા ઘી ના ઠામમાં ઘી કેમ નાખી શકાય તે માટે લગત દોટ લગાવી રહ્યાનું જાણવા મળે છે, હા જો કે એમ.ડી.ની નિષ્ઠાપૂર્વકની આ કૌભાંડની તપાસ પર નજર હોવાને કારણે કૌભાંડીઓ કદાચ સફળ થાય તેવું હાલના સંજોગો જોતા લાગતું નથી,
તપાસના નાટકોના ભાગરૂપે જ રૂ.8.5 કરોડના કહેવાતા આ વીજકૌંભાડની તપાસ અર્થે વડીકચેરીની કેટલીક ટુકડીઓ જામનગરમાં આવી છે, અને સતત બે ત્રણ દિવસથી ચાલી રહેલી તપાસમાં તપાસનીશ અધિકારીઓ દ્વારા દસ્તાવેજો કબ્જે કરાયા છે. ઔધોગિક વિસ્તારમાં 300 વીજજોડાણ રહેણાંક હેતુસર આપી મસમોટી ગેરરીતિ આચરવામાં આવી છે, જેમાં દરેડ જીઆઈડીસીમાં PGVCLના નિયમોને નેવે મૂકી 300 કારખાનામાં ઔધોગિક વીજ જોડાણને બદલે રહેણાંક હેતુથી વીજજોડાણ આપવાનું મસમોટું કૌભાંડ સામે આવી ચુક્યું છે અને આ અંગેનો રીપોર્ટ પણ કોર્પોરેટ કચેરીને કરી દેવામાં આવ્યો છે,
રૂ.8.5 કરોડના કથિત કૌભાંડની સતત બે ત્રણ દિવસથી રાજકોટની PGVCL કોર્પોરેટ કચેરીના ચીફ વિજીલન્સ ઓફિસર તથા ચીફ ફાયનાન્સ મેનેજરના વડપણ હેઠળ ચાલી રહેલી તપાસમાં શંકાસ્પદ દસ્તાવેજો કબ્જે કરાયા છે. ભલે તપાસ હજુ પણ ચાલે પણ પગલા લેવાશે કે કેમ તેના પર પ્રશ્નાર્થ છે, કારણ કે સંડોવાયેલા રાજકીય ઓથ મેળવીને બચવા માટે નેતાઓના ટાંટિયા પકડી રહ્યા છે, તે સફળ થશે કે પછી કૌભાંડીઓ સામે કડક કાર્યવાહી કરી દાખલો બેસાડવામાં અધિકારીઓ સફળ થશે તે જોવાનું છે.