Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાની ભૂર્ગભ શાખા વગોવાયેલી શાખા છે, આ શાખાને લઈને આક્ષેપો થતા રહે છે, ગત સામાન્યસભામાં પણ પૂર્વ વિપક્ષ નેતા અસ્લમ ખીલજી દ્વારા ભૂર્ગભ શાખાની આકરી ટીકા કરી સૌથી વધુ આ શાખામાં જ ભ્રષ્ટાચાર થતો હોવાનો ખુલ્લો આક્ષેપ કર્યો હતો, વર્ષોથી ચાલી આવતી આ કામગીરીમાં ખર્ચ દિવસે ને દિવસે વધતો જાય છે અને કામ ક્યારે સંપૂર્ણ થશે… તે સવાલ અડીખમ છે, થોડા સમય પૂર્વે ભૂર્ગભ શાખાના અધિકારીએ કહ્યું હતું કે જુના જામનગરમાં ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ થઇ ચુક્યું છે,
પણ કેવી રીતે કેટલો ખર્ચ તેની માહિતી તેમની પાસે હાથ પર નહોતી એવામાં વધુ એક વખત જામનગર મનપાની ભૂર્ગભ શાખાની કામગીરીને લઈને સવાલો ઉઠાવતો પત્ર મનપાના ડેપ્યુટી મેયર તપન પરમાર દ્વારા કમિશ્નરને સંબોધીને લખવામાં આવ્યો છે, જે ભારે ખળભળાટ મચાવી દેનારો એટલા માટે છે કે તેવો ખુદ શાશક પક્ષમાંથી આવે છે અને તેને આવો પત્ર કમિશનરને લખવાની ફરજ પડી છે, ભૂગર્ભ શાખા દ્વારા વોર્ડ નંબર 11 એટલે હાલના ડેપ્યુટી મેયરના વિસ્તારમાં થયેલ વર્ષની કામગીરીને લઈને તપન પરમારે મુદ્દાસર ભૂર્ગભ શાખાની ઝાટકણી કાઢી છે, અને પોતાના વોર્ડના લોકોના હિતમાં આ રજૂઆત કમિશ્નરને કરી છે,
ડેપ્યુટી મેયર તપન પરમાર દ્વારા લખવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ભુગર્ભ ગટરના કામ બાબતે વોર્ડ નં.11માં ડી.આર.અગ્રવાલ દ્વારા જે ભુગર્ભ ગટરનું કામ કરવામાં આવેલ આ કામ બાબતે પૂર્વ કોર્પોરેટર જશરાજભાઇ પરમારએ અનેક ફરીયાદો કરેલ છે. તેમજ જે તે વખતના મેયર તેમજ વિરોધપક્ષ દ્વારા ઉપરોકત કામ નબળી ગુણવતા બાબતે રોજકામ પણ કરવામાં આવેલ છે. વધુમાં 2005 થી 2021 સુધી ભુગર્ભ ગટરનું લાઇન લેવલ ચેક કરવામાં આવેલ નથી તેમજ ગેપપીસ પણ મુકવામાં આવેલ નથી અનેક વખત રજુઆતો કરવા છતાં ભુગર્ભ ગટરનું કામ નબળી ગુણવતાનું કરવામાં આવેલ છે.
તેમજ ભુગર્ભ ગટરના ગંદા પાણીના નિકાલ અંગે પણ હજુ સુધી કોઇપણ કાર્યવાહી લગત શાખા દ્વારા કરવામાં આવેલ ન હોય, માટે આપના લેવલેથી લગત શાખાને જરૂરી સુચના આપી ઉપરોકત બાબતનો પ્રશ્નનો તાત્કાલિક નિકાલ કરવા વિનંતી છે. તેમજ ઉપરોકત બાબતે જવાબદાર અધિકારી ઉપર શિક્ષાત્મક પગલા લેવા વિનંતી છે. ઉપરોકત બાબતે કરેલ કાર્યવાહીનો સમગ્ર રીર્પોટ દિવસ-3ની અંદર અત્રે રજુ કરવા આપને અંગત ખાસ અનુરોધ કરવામાં આવે છે.
-સ્વાભાવિક ડેપ્યુટી મેયરની રજૂઆત પરથી આ સવાલો ઉઠે છે જ….
ડેપ્યુટી મેયર તપન પરમાર દ્વારા લખવામાં આવેલ પત્રમાં ચોકાવનારી અને ભૂગર્ભ શાખા સામે આંગળી ચીંધતી બાબત એ છે કે વર્ષ 2005 થી 2021 સુધી ભુગર્ભ ગટરનું લાઇન લેવલ ચેક કરવામાં આવેલ નથી (અરે ભાઈ આવું કેમ ખુદ ડેપ્યુટી મેયર આ આક્ષેપ કરે છે, તો શાખાએ આટલા વર્ષો કર્યું શું.?) તેમજ ગેપપીસ પણ મુકવામાં આવેલ નથી (તો આ ગેપપીસ અહી ના મુક્યા તો ક્યાં ગયા હશે?) અનેક વખત રજુઆતો કરવા છતાં ભુગર્ભ ગટરનું કામ નબળી ગુણવતાનું કરવામાં આવેલ છે. (શું કોઈ પગલા આ બાબતે લીધા.? જો હા તો શાખાએ જાહેર પણ કરવું જોઈએ) તેમજ ભુગર્ભ ગટરના ગંદા પાણીના નિકાલ અંગે પણ હજુ સુધી કોઇપણ કાર્યવાહી લગત શાખા દ્વારા કરવામાં આવેલ ન હોય આમ પણ રજુઆતમાં જણાવ્યું છે, એટલે કે આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર માટે થયેલ ખર્ચ પાણીમાં ગયો કહીએ તો પણ અતિશયોકિત ના કહેવાય ને…તો હવે અહી કામ ના થયા બરોબર જેવું થયું હોય તો આ મામલે જવાબદાર કોણ..?
-ભૂગર્ભ ગટરના નબળા કામો માટે જવાબદારને છાવનાર કોણ.?
જામનગર શહેરમાં ઘણા વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની કામગીરીને લઈને ભૂતકાળમાં પણ સવાલો ઉઠતા રહ્યા છે, ત્યારે જો કામો નબળા અયોગ્ય કે યોગ્ય માપદંડો મુજબના થતા હોય તો આ તમામ માટે જવાબદાર કોણ..? તેની સામે પગલા લેવાશે કે રાબેતામુજબ થાબણભાણા થતા રહેશે તે પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે.