Mysamachar.in-જામનગર:
જામનગર શહેર કાયમ સ્વચ્છતા અને મચ્છરો મુદ્દે ચર્ચામાં રહ્યું છે ! જામનગરમાં મચ્છરનગર નામનો વિસ્તાર પણ છે, બોલો! હાલમાં જામનગરનાં નગરજનો ડેન્ગ્યુના રોગચાળાથી પિડીત છે. ગત્ માસમાં શહેરમાં ડેન્ગ્યુના 170 કેસ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે.
જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા જણાવે છે કે, છેલ્લાં એક મહિનાથી શહેરમાં ડેન્ગ્યુના રોગચાળા સંદર્ભે આરોગ્ય ચકાસણી ઝૂંબેશ ચાલી રહી છે. ઓક્ટોબર મહિનામાં કોર્પોરેશન દ્વારા શહેરમાંથી સર્વે દરમિયાન તાવના 1,047 કેસ શોધી કાઢવામાં આવ્યા છે. અને ઓક્ટોબર મહિનામાં જીજી હોસ્પિટલ દ્વારા તાવ-ડેન્ગ્યુનો જે આંકડાકીય રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે તેમાં જણાવાયું છે કે, કોર્પોરેશન એરિયામાં ઓક્ટોબર મહિના દરમિયાન ડેન્ગ્યુના કુલ 170 કેસ મળી આવ્યા છે. આ આંકડામાં મહાનગરપાલિકાનાં આરોગ્ય કેન્દ્ર, જીજી હોસ્પિટલ તથા શહેરની ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર લઈ રહેલા કુલ દર્દીઓનો સમાવેશ થાય છે.
અત્રે એ પણ નોંધનીય છે કે, શહેરમાં ઘણી કોમર્શિયલ સહિતની ઇમારતો એવી છે જેનાં સેલરમાં વર્ષોથી અને આજની તારીખે ગંદકી છે ! ઘણી ઇમારતોના સેલરમાં વરસાદી તથા વપરાશી પાણી પણ જમા થયેલું છે ! નગરજનોનાં ઘરો અને ઘરોમાં પાણીનાં વાસણો ચેક કરતી મહાનગરપાલિકા આવી ઈમારતોમાં ક્યારેય ચેકીંગ કે દંડનીય કાર્યવાહી માટે શા કારણથી નથી જતી ?! એ પ્રશ્ન પણ ગંભીર લેખી શકાય.