Mysamachar.in-જામનગર
હાલ ગુજરાતમા ઘણા સમયથી ACB વધુ ALERT છે ત્યારે રોજ બરોજ સરકારી કચેરીઓમા હેરાન થતા અરજદારો ત્રાસી જાય તેટલા વિલંબ કામના નિકાલમા થાય છે ત્યારે લાંચીયા કર્મચારી કે અધીકારી સામે ભ્રષ્ટાચારની ફરીયાદ કઈ રીતે કરવી? તે સવાલ સામાન્ય અરજદારોને થાય એ સ્વાભાવિક છે ત્યારે લગત વિભાગનુ માર્ગદર્શન લઇ તે મુજબ સંપુર્ણ વિગતો સાથે સાણસા વ્યુહ ગોઠવવો પડે નહી તો હવે ચબરાક લાંચીયાઓને જો ગંધ આવી જાય તો “ઘા ફેઈલ પણ જાયને” વ્યવસ્થિત પુરાવા કે ઠોસ બાતમી કે સચોટ ઉદાહરણ હોય તો સરકાર પણ સહયોગ આપશે માટે હવે લાંચની બદી દૂર કરવા ઝુંબેશરૂપે અભિયાનની તાતી જરૂર છે એક અભ્યાસ મુજબ કામમા વિલંબ-કાગળો ગુમ થવા-વરસો સુધી ફાઇલ ધુળ ખાય-અરજદારોને ધરમ ધક્કા…..આ બધુ જ “કઇક અપેક્ષા”ની મેલી મુરાદના નમુના ગણાય છે જે ઘણી કચેરીઓમાં અમુક ચોક્કસ તત્વો પાર પણ પાડે છે માટે વ્યાપક જનહિતમા ફફડાટ મચાવવાની તાતી જરૂર છે કેમ કે જુજ લાંચીયાઓના કારણે ઘણીવાર આખો વિભાગ બદનામ થતા હોય છે,
ભ્રષ્ટાચાર આપણા દેશની સૌથી ગંભીર સમસ્યા છે અને સૌ દેશવાસી ઈચ્છે છે કે દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ થાય. આપણે અવારનવાર સરકારી કચેરીઓમાં જતા હોય છીયે અને મજબુરીવશ લાંચ આપવી પડે છે. કાયદાની જાણકારીના અભાવે ફરીયાદ કરવાની ઈચ્છા હોવા છતાય આપણે ફરીયાદ કરી શકતા નથી.
-ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ
સરકારના કર્મચારીઓમાં ફરજનિષ્ઠા વધારવા તથા વહીવટી કામકાજને ભ્રષ્ટાચારમુક્ત બનાવવાના ઉદ્દેશ્યથી ભારતની સંસદ દ્વારા “ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ – 1988” બનાવવામાં આવ્યો જે કાયદા મુજબ લાંચ લેવી, લાંચ આપવી, આવક કરતા વધુ સંપત્તિ હોવી, સરકારી નાણાનો વ્યય કરવો, સરકારની તિજોરીને નુકશાન ફોંચાડવુ જેવા અનેક ગુનાઓની અલગ અલગ પ્રકારની સજાની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં ભ્રષ્ટાચારની ફરીયાદ કરવા માટે સરકારે લાંચ રૂશ્વત વિરોધી ખાતાની રચના કરેલ છે જેની મુખ્ય કચરી અમદાવાદ શાહીબાગમાં છે તેમજ દરેક જિલ્લા કક્ષાએ લાંચ રૂશ્વત વિરોધી પોલીસ સ્ટેશન આવેલા છે જેમા પોલીસ ઈન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ ફરજ બજાવે છે.
-લાંચ એટલે શુ, વ્યાપક વ્યાખ્યા…
સામાન્ય નાગરિક લાંચ એટલે કાયદેસરનું સરાકારી કામ કરાવવા માટે આપવા પડતા રૂપિયા તેટલું જ સમજે છે, પરંતુ લાંચ શબ્દનો વિશાળ અર્થ થાય છે. લાંચ એટલે ફક્ત નાણાકીય વ્યવહાર જ નહીં, પરંતુ સરકારી કર્મચારીને પોતાની કામગીરી કરવા માટે કે ન કરવા માટે આપવામાં આવતી ભેટ, સોગાદ કે બક્ષિસ વગેરે વસ્તુનો પણ સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે કોઈ અધિકારીને કપડા કે મિઠાઈની ભેટ આપવી અથવા કોઈના ઘરે ટીવીની વ્યવસ્થા કરી આપવી વગેરે.
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-1988ની કલમ-2(ગ)માં જણાવ્યા મુજબ જાહેર સેવક એટલે જાહેર સેવા હોય અથવા સરકારના પગારદાર હોય અથવા કોઈપણ કાર્ય, જેમાં પ્રજાનુ બહોળું હિત હોય તેવી જાહેર ફરજ બજાવવા માટે જેને ફી કે કમિશનરૂપે સરકાર તરફથી મહેનતાણું કે આથિર્ક સહાય મળતી હોય તેવી કોઈ સંસ્થાના કર્મચારી, અધિકારીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સરકારી અનુદાન મેળવતી કોઈપણ સરકારી કંપની, સંસ્થા, યુનિવર્સિટી કે શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, કોર્પોરેશન કે સત્તામંડળોના હોદ્દેદારો અને કર્મચારી, અધિકારીઓ સમાવેશ થાય છે.
-લાંચ લેવાની સજાની જોગવાઈ?
જો કોઈ જાહેર સેવક કાયદેસરના મહેનતાણાં સિવાય કોઈપણ જાહેર હિતનું કામ કરવા કે ન કરવા માટે રોકડ નાણું, ભેટ કે કીમતી વસ્તુની માંગણી કરે તો આ અધિનિયમની કલમ 7 મુજબ ગુનો કરે છે અને ગુનો સાબિત થયે પાંચ વર્ષ સુધીની (કેદ તથા દંડની) શિક્ષા થઈ શકે છે.આ અધિનિયમની કલમ- 12 નીચે જાહેર સેવકને જાહેર હિતના કામ માટેની કાયદેસરની ફી હોય તે સિવાયની રકમ આપવી તે પણ ગુનો બને છે.
-શુ તમે જાણો છો?
લાંચ વગેરેનો ગુનો સાબિત થયે પાંચ વર્ષ સુધી (કેદ તથા દંડ)ની શિક્ષા થઈ શકે છે. જાહેર સેવક દ્વારા અથવા તેના આશ્રિત વ્યિક્તિ દ્વારા વસાવેલી સ્થાવર જંગમ મિલકતો બાબતોનો તેણે આપેલો હિસાબ જો અનિયમિત જણાય તો તેની વિરુદ્વમાં કલમ – 13 (1)(ઇ) નીચે ગુનો દાખલ થઈ શકે અને ગુનો સાબિત થયે સાત વર્ષ સુધીની (કેદ તથા દંડની) શિક્ષા થઈ શકે છે.
-જાગૃત નાગરિક શું કરી શકે.?
કોઈ જાહેર સેવક દ્વારા અપ્રમાણસર મિલકતો વસાવેલ હોવા અંગેની આપને જાણ હોય તો તે વિગતો સાથે નજીકની લાંચ રૂશ્વત વિરોધી કચેરીનો સંપર્ક કરો, સંવેદનશીલ જગ્યાઓએ ભ્રષ્ટાીચાર ચાલતો હોય અને તેમાં મેળાપીપણામાં લાંચની રકમની આપલે થતી હોય અને ફરિયાદ થવાની શક્યતા ન હોય તો જાગૃત નાગરિક તરીકે ગુપ્ત માહિતી બ્યૂરોને આપી શકાય છે. બ્યૂરો દ્વારા આ બાબતે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.કોઈ ખાનગી વ્યકિત જાહેર સેવક વતી લાંચ સ્વીકારે અથવા લાગવગ ચલાવવા માટે
-ગેરકાયદેસરના સાધનો દ્વારા લાંચ લે તેવા ખાનગી વ્યકિત પર પણ ગુનો દાખલ થઈ શકે છે.
સરકારી સંપત્તિનો દુરઉપયોગ કરીને વ્યય કરવામાં આવતો હોય તે અંગે પણ બ્યૂરોને ગુપ્ત માહિતી આપી શકાય છે.રાજય સેવક દ્વારા હોદ્દાનો દુરુપયોગ કરી સરકારશ્રીને નાણાકીય નુકશાન થાય અને તેનાથી અન્ય વ્યકિતને લાભ કરાવે તે રીતે કરવામાં આવેલ ગુન્હાહિત ગેરવર્તન અંગેની લેખિતમાં માહિતી પણ આપી શકાય છે.