Mysamachar.in:ગુજરાત
ગુજરાતમાં નવજાત શિશુઓના મોતનાં આંકડા ચિંતાજનક છે ! રાજ્યનાં એક નિષ્ણાત તબીબે જણાવ્યું છે કે, ઓરીનો રોગ અને કુપોષણ જેવી બાબતો શિશુઓના મોત પાછળનાં મુખ્ય કારણો છે. ગુજરાતમાં આ મોતનાં આંકડા છેલ્લાં ચારેક વર્ષથી મોટાં રહેવા પામ્યા છે, જે જાણકારોના મતે ચિંતાજનક લેખાવી શકાય. મધ્યપ્રદેશ, ઉતરપ્રદેશ તથા બિહાર જેવાં રાજ્યો કરતાં પણ, ગુજરાતમાં શિશુઓના મોત વધુ નોંધાઈ રહ્યા છે ! વસતિની દ્રષ્ટિએ ઉપરોક્ત રાજ્યો આપણાં કરતાં ઘણાં મોટાં પણ છે.
મહારાષ્ટ્રનાં આંકડા સૌથી મોટાં છે. એકમાત્ર મહારાષ્ટ્ર કરતાં ગુજરાતનો આંકડો નાનો છે. આપણે નીચેથી બીજાં ક્રમે છીએ. જાણકારો કહે છે, નવજાત શિશુઓના કુલ મોત પૈકી 20 ટકા મોતની તો નોંધણી પણ નથી થતી ! ગુજરાતમાં સામાન્ય રીતે નવજાત શિશુઓના મોતનાં કારણો ઓરીનો રોગ અને કુપોષણ હોવાનું જાણવા મળે છે ! અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આ બંને બાબતો અંગે સરકારી ઝુંબેશ ચાલુ જ હોય છે.
ધ સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ-2020 નાં વાઈટલ આંકડાઓ આ જણાવે છે. જેમાં કહેવાયું છે કે, 2020 માં દેશભરમાં નવજાત શિશુઓના મોતનાં કુલ આંકડા પૈકી 8.5 ટકા મોત ગુજરાતમાં નોંધાયા. દેશભરમાં 2020 માં કુલ 1,43,000 શિશુઓના મોત નોંધાયા હતાં. ગુજરાતનો આરોગ્ય વિભાગ કહે છે : 2019 ની સરખામણીએ 2020 માં નવજાત શિશુઓના મોતનાં આંકડામાં 22 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
2020 માં ગુજરાતમાં 12,119 નવજાત શિશુઓના મોત નોંધાયા હતાં. જે પૈકી 1,845 મોત ગ્રામ્ય વિસ્તારોમાં થયાં હતાં. જે પૈકી છોકરાંઓની સંખ્યા 1,066 હતી. બાકીનાં 10,274 મોત શહેરી વિસ્તારોમાં નોંધાયા હતાં. જે પૈકી 6,063 છોકરાંઓ અને 4,211 છોકરીઓ હતી.
ગુજરાત પીડિયાટ્રીક એસોસિએશનનાં પ્રેસિડેન્ટ ચેતન ત્રિવેદી કહે છે : ઉતરપ્રદેશ તથા બિહાર જેવાં રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં વધુ નવજાત શિશુઓના મોત થાય તે વાત ગળે ઉતરે એ પ્રકારની નથી. સામાન્યતઃ નવજાત શિશુઓના મોત ઓરીનો રોગ અને કુપોષણ જેવાં કારણોથી થતાં હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં યોજાતી સરકારની ચિંતન શિબિરમાં પણ આ વર્ષે નવજાત શિશુઓના મોતની ચર્ચા થશે. એજન્ડામાં આ મુદ્દો છે. ભૂતકાળમાં પણ નવજાત શિશુઓના મોત અંગે ચિંતન શિબિરમાં ચર્ચા થયેલી.