Mysamachar.in-જામનગર:
ગુન્હો કરનાર વ્યક્તિ ગમે તેટલો શાતીર હોય પણ પોલીસની તપાસ જો આગવી ઢબે ચાલુ થાય તો તે પોપટ બની જાય છે, જામનગરમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં લાખોની ચોરી થઇ હોવાનું જણાવી પોલીસને ધંધે લગાડનાર ફરિયાદી જ આરોપી નીકળ્યો છે.વાત કઈક એવી છે કે શહેરના ચાંદી બજાર વિસ્તારમાં પોસ્ટ ઓફીસની સામે આવેલ પટેલ ઇશ્વરલાલ બેચરદાસ નામની આંગડીયાની પેઢીમાંથી ગત તા.11/9થી રાત્રીના ગાળામાં ચોરી થયાની ઘટના સામે આવી હતી. આ બનાવ અંગે પેઢીમાં નોકરી કરતા હરિસીંગ અણદાજી વાઘેલા રહે. હાલ રામેશ્વરનગર માટેલચોક દ્વારકેશપાર્ક શેરી નં-2 ભાડેથી જામનગર મુળ રહે. રાણાવાડા ગામ તા.કાંકરેજ જી. બનાસકાંઠા વાળા શખસે અજાણ્યા ચોર સામે સીટી એ ડિવિજનમાં ફરિયાદ નોંધાવી હતી.આંગડીયાની પેઢીનુ કોઇ અજાણ્યા ચોર ઇસમે મેઇન જાળીમાં મારેલ તાળુ કાપી પેઢીના દરબાજાનો નકુચો તોડી, અંદર પ્રવેશ કરી, પેઢીમાં રહેલ તીજોરીનો લોક તોડી નાખી તેમા રહેલ પેઢીના હીસાબના રોકડા રૂપીયા આશરે પાંચ લાખની ચોરી કરી લઇ ગયાનો આરોપ લગાવાયો હતો.
ઘટના બાદ દરબારગઢ પોલીસ ચોકીના પીએસઆઇ એન.વી.હરિયાણી સહિતના સ્ટાફે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી જે બાદ પોલીસની નજરમાં પ્રથમથી જ ફરિયાદી શંકાના દાયરામાં હતો અને તેની ઉલટ તપાસ શરુ કરતા ફરિયાદી જ આરોપી નીકળ્યો અને પોતે જ ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. આર્થિક સંકળામણમાં અને પોતાના મોજશોખ પુરા કરવા માટે પોતે આ ચોરી આચરી હોવાનું કબુલ કરી રૂ.55,000 ની રોકડ કાઢી આપી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો . કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, ફરિયાદી જ આરોપી એવી આ ચોરીની ઘટનામાં તેની સાથે અન્ય કોઈની મદદગારી છે કે કેમ તે અંગે પોલીસ છાનબીન કરી રહી છે.