Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાની ભૂગર્ભ ગટર યોજના દાયકાઓથી લંગડાતી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં આ કામગીરી પાછળ કરોડો રૂપિયા સ્વાહા થઈ ચૂક્યા છે. દાયકાઓ પછી પણ, આજની તારીખે આ શાખા ઘણાં કોન્ટ્રાકટરને વર્ષે દહાડે તોતિંગ રકમ ‘ સફાઈ ‘ માટે ચૂકવે છે જેને કારણે કરદાતા નગરજનોની તિજોરીની ‘ સફાઈ’ થતી રહે છે, ફરિયાદો અવિરત ચાલુ રહે છે !
શહેરમાં 1986 ની સાલથી ઘસડાતી ચાલતી ભૂગર્ભ ગટર યોજના આટલાં વર્ષોમાં ક્યારેય ટનાટન બનવા પામી નથી. કેમ કે, ભૂગર્ભ ગટરના ‘ કુશળ ‘ ઈજનેર-અધિકારીનું ટેગ લગાડીને ફરતાં અધિકારીઓનો જમેલો ધરાવતી આ શાખાને વિવાદો સાથે પણ પુરાણો નાતો છે !
શહેરમાં રસ્તાઓના લેવલે ગટરની કુંડીઓ ન બનાવવી, ગટરનાં ઢાંકણ નબળી કવોલિટીનાં વાપરવા, ઢાંકણો ચોરાઈ જવાનાં કિસ્સાઓમાં ચોર સુધી ન પહોંચવાની ગુનાહિત બેદરકારી, મેનહોલ અને રસ્તાઓના લેવલની બાબતમાં વેઠ ઉતારવી, મેનહોલ અને ગટરોની સફાઈમાં લાલિયાવાડી, ગટરનાં કામોમાં લોટ, પાણી અને લાકડાં, ફરિયાદોનો યોગ્ય અને કાયમી નિકાલ ન કરવાની ગુનાહિત નીતિને કારણે ફરિયાદોનું વારંવાર પુનરાવર્તન થવું, કોન્ટ્રાકટરોને થાબડભાણા કરવા અને ફરિયાદો સંબંધે લોકોને બાળાગોળીઓ પિવડાવવી, દર પંદર દિવસે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ભૂગર્ભ ગટર કામગીરીનાં બિલો મંજુર કરાવી લેવાની તથા શંકાસ્પદ બિલો રજૂ કરવાની નીતિ, શહેરનાં નવા નવા વિસ્તારોમાં ભૂગર્ભ ગટરો બનાવવામાં યોગ્ય સક્રિયતા ન દાખવવી, નવા નવા કામોને સતત લંબાવતા જવું અને એ રીતે બકરીનું દૂઝાણુ ચાલુ રાખવું… વગેરે ખાસિયતો ધરાવતો આ વિભાગ અત્યાર સુધીમાં કરોડો રૂપિયા ગટરમાં પધરાવી ચૂક્યો છે.
આજની તારીખે પણ આ વિભાગમાં ખર્ચનું મીટર સતત અને ઝડપથી ફર્યા કરે છે ! આ શાખા પર કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ તથા પદાધિકારીઓએ વધુ ધ્યાન આપવાની આવશ્યકતા છે એવું નગરજનો માની રહ્યા છે. ફરિયાદોની સંખ્યાની વાત કરીએ તો, 1 એપ્રિલથી 21 સપ્ટેમ્બર સુધીમાં ભૂગર્ભ ગટર શાખામાં કુલ 5172 ફરિયાદોનો ધોધ વહ્યો છે ! આટલી બધી ફરિયાદ શા માટે આવે છે ? યોગ્ય સફાઈ અને જાળવણી નથી થતી ?! કોન્ટ્રાકટર એજન્સીઓ પાસેથી અધિકારીઓ કડક હાથે કામ શા માટે નથી લેતાં ?! આ ફરિયાદો પૈકીની 70.32 ટકા ફરિયાદો 1 જૂનથી અત્યાર સુધીમાં એટલે કે, ચોમાસામાં પૂરની માફક વહી છે, જે દર્શાવે છે કે પ્રિ-મોન્સુન કામગીરી યોગ્ય રીતે થતી નથી અને રનિંગ સફાઈ પણ યોગ્ય નથી ! આટલાં દાયકાઓ વીત્યા અને તે દરમિયાન કરોડો રૂપિયાનો ખર્ચ થયો છતાં પણ હજુ અડધાં જામનગરમાં ભૂગર્ભ ગટર પહોંચી નથી ! વિકાસની વાતો આધારભૂત છે કે કેમ ?! તે પ્રશ્ન પણ આ સ્થિતિને કારણે સપાટી પર આવતો રહે છે !