Mysamachar.in-જામનગર
દ્વારકામાં તા. 1-2-2021 થી તા. 15-2-2021 સુધી લશ્કરી ભરતી મેળો યોજાયો હતો. જે બાદ કોઈ લેભાગુ શખ્સો અને ઉમેદવારો વચ્ચેના ઓડીયો ક્લીપીંગ વાયરલ થતા સમગ્ર પંથકમાં અને ઉમેદવારોમાં ભારે ચકચાર જાગી છે. જો કે, આ ગંભીર બાબત આર્મી રીક્રુટમેન્ટ બોર્ડના ધ્યાનમાં આવતાં પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હોવાનું જાહેર થયું છે. આ અંગે મીલીટરી એરિયા જામનગર ખાતે રહેતા વીજય સુબૈયાએ નોંધાવેલ ફરિયાદ મુજબ રીકૃરટમેન્ટ બોર્ડના અધિકારી રાજીવ કુમારને ટેલીફોનથી તથા વોટએપ માધ્યમથી જાણવા મળેલ કે કોઇ અજાણ્યા ઇસમે પૈસાની લેવડદેવડ કરી રીકૃરટમેન્ટ બોર્ડના સિક્કા તથા ડાયરેકટર રાજીવ કુમારના નામ જોગ ડુપ્લીકેટ સહી-સિક્કા બનાવી આર્મી ભરતીના લેખીત પરીક્ષા આપવા માટેના ડુપ્લીકેટ એડમીટ કાર્ડ બનાવી વોટસએપમા મુકી ગુન્હો કરેલ હોય આ મામલે ફરિયાદ દાખલ થતા આ વ્યક્તિ કોણ તે અંગે પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.
આ ઉપરાંત એક અખબારી યાદી જાહેર કરવામાં આવી છે તેમાં પણ મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, જામનગર દ્વારા જામનગર તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ-ભુજ તેમજ દીવ જીલ્લાના ઉમેદવારોને જણાવવામાં આવે છે કે, દેવભૂમિ દ્વારકા ખાતે યોજાયેલ આર્મી ભરતીમેળો-૨૦૨૧ તા.૦૧/૦૨/૨૦૨૧ થી ૧૫/૦૨/૨૦૨૧ સુધીમાં જે ઉમેદવારો દોડમાં તેમજ મેડીકલ ટેસ્ટમાં પાસ થયેલ છે, ત્યારબાદ જેઓને આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ, જામનગર દ્વારા “એડમીટ કાર્ડ” આપવામાં આવેલ છે. તેવા જ ઉમેદવારો આગામી લેખિત પરીક્ષામાં ભાગ લઇ શકશે.
આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ, જામનગર તેમજ મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, જામનગરને ધ્યાને આવેલ કે, ગીર સોમનાથ તેમજ અન્ય જીલ્લાના લેભાગુ તત્વો દ્વારા ખોટા એડમીટ કાર્ડ બનાવીને પૈસા પડાવવાનું ફ્રોડીંગ ચાલી રહ્યું છે. જેના વિરુદ્ધ આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ, જામનગર દ્વારા કાયદેસરની પોલીસ ફરિયાદ પણ કરવામાં આવેલ છે. ઉમેદવારોને ખાસ જણાવવામાં આવે છે કે, આવા તત્વો સાથે તેમજ ખોટા એડમીટ કાર્ડ મેળવવાની લાલચમાં ફસાવું નહી. ખોટા એડમીટ કાર્ડ મેળવેલ ઉમેદવારોને કોઇપણ પરિસ્થિતિમાં લેખિત પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહી, તેમજ તેમની વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેવી. આવા ખોટા ફ્રોડીંગ કરનાર તત્વો કોઇપણ વ્યક્તિના ધ્યાને આવે તો આર્મી રિક્રુટમેન્ટ ઓફીસ જામનગરનો વહેલી તકે સમ્પર્ક કરીને માહિતી આપવા જણાવવામાં આવે છે.