Mysamachar.in-અમદાવાદ
ત્રણ શખ્સો અમદાવાદમાં વાઘની ખાલ રૂપિયા અઢી કરોડમાં વેચાણ કરવાની પૈરવીમાં હતા ત્યાં જ ક્રાઈમ બ્રાંચને હાથ લાગ્યા છે, કર્ણાટકથી લવાયેલી રાષ્ટ્રીય પ્રાણી વાઘની ખાલ વેચવા નીકળેલા ત્રણ શખસની પોલીસની ગિરફતમાં આવી ગયા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે છટકું ગોઠવી ત્રણેયની ધરપકડ કરી વાઘની ચાર ખાલ કબ્જે કરી હતી. આ ખાલ ગુલબાઇ ટેકરામાં રહેતા મોહન રાઠોડ પાસેથી બે વર્ષ પહેલાં ખરીદી હતી. પોલીસે મોહન રાઠોડની પણ ધરપકડ કરી હતી.
ક્રાઈમ બ્રાંચને માહિતી મળી હતી કે નૈલેશ જાની (રહે. ગોળલીમડા), રણછોડ પ્રજાપતિ (રહે. આસ્ટોડિયા) અને અલ્પેશ ધોળકીયા (રહે. માણેકચોક) એક્ટિવા પર મૃત વાઘની ખાલ વેચવા ફરી રહ્યા છે. જેથી ક્રાઈમ બ્રાન્ચે છટકુ ગોઠવી અને તમામની ગોળલીમડા ખાતેથી ધરપકડ કરી હતી. તાંત્રિક વિધિ કે અન્ય કોઈ કામ માટે ખાલ વેચવાની હતી કે કેમ તેની તપાસ ચાલુ છે. આ ખાલ ક્યાંથી ખરીદી તે બાબતે પૂછપરછ કરતાં ગુલબાઇ ટેકરાના મોહન રાઠોડ પાસેથી ખરીદી હતી. પોલીસે મોહન રાઠોડની ધરપકડ કરી પૂછપરછ કરતા બે વર્ષ પહેલાં આ ખાલ કર્ણાટકના કોઈ શખસ પાસેથી ખરીદી હતી. પોલીસ હવે આરોપીઓની પૂછપરછ કરી વધુ માહિતી ઓકાવવાના પ્રયાસમાં લાગી છે.