Mysamachar.in-જામનગર
જામનગર નજીક કાલાવડ ઘોરીમાર્ગ પર ગત બપોરે ઠેબા નજીક પુરપાટ દોડતી બસે બાઇકને ધડાકાભેર ટકકર મારતા સર્જાયેલા અકસ્માતમાં દંપતિ અને તેના 6 માસના માસુમ બાળકનુ ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજયુ હતુ. મૃતક પરીવાર જામનગરથી કાલાવડ તરફ જઇ રહયો હતો ત્યારે માર્ગમાં જ કાળનો કોળીયો બન્યો હતો. ઘટના બાદ સ્થળ પર પહોચેલ પોલીસે તપાસ હાથ ધરી બાઈકને ટક્કર મારનાર વાહન વિષે તપાસ કરતા મૃતકના ભાઈની ફરિયાદને આધારે શિવશક્તિ બસના ચાલક સામે ગુન્હો પંચકોશી એ ડીવીઝનમાં દાખલ થયો છે.
ખંભાળિયાના ભટગામે રહેતા દિનુભાઇ મગનભાઇ વાઘેલા નામનો યુવાન બાઇક પાછળ પત્ની અમુબેન અને માસુમ પુત્રને બેસાડી પસાર થઇ રહયો હતો ત્યારે કાલાવડ તરફથી આવતી શીવશક્તી ટ્રાવેલ્સ બસ રજી.નં.જી.જે.18 એએફ 6948 નો ચાલકે બાઇકને ઠોકર મારતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક પરથી ફંગોળાઇ જઇ રોડ પર પટકાયેલા દિનુભાઇ (ઉ.વ.35), અમુબેન (ઉ.વ. 33) અને તેના માસુમ પુત્ર ખોળુ (ઉ.6 માસ) ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજયા હતા. આગળની તપાસ પંચકોશી એ ડીવીઝન પીએસઆઈ બી.એસ.વાળા ચલાવે છે.