Mysamachar.in-જામનગર:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ગુજરાત સરકાર એક કરતાં વધુ વખત જાહેર કરી ચૂક્યા છે કે, તેઓનું શાસન ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે, એટલે કે કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર સરકારને જરા પણ મંજૂર નથી. બીજી તરફ વાસ્તવિકતા એ પણ છે કે, સરકારનાં વિવિધ વિભાગો ભ્રષ્ટ રીતરસમો મુદ્દે દાયકાઓથી કુખ્યાત છે ! આ પ્રકારના તત્વોને ઝડપી લેવા સરકારે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ( ACB) ચલાવવું પડે છે. દર વર્ષે હજારો લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓ લાંચ લેતાં ઝડપાઈ જાય છે.
સરકારી કચેરીઓમાં ચોક્કસ પ્રકારના ટેબલના સ્વામીઓ-અધિકારીઓ ભ્રષ્ટ ધંધાદારી તત્વો સાથે ખાસ પ્રકારની સાંઠગાંઠ ધરાવતા હોય છે. આવાં ભ્રષ્ટ અધિકારીઓ વર્ષભર અને ખાસ કરીને તહેવારોમાં સંબંધિત તત્વો પાસેથી મોંઘીદાટ ભેટો મેળવતાં હોય છે. હોટેલોમાં, ફાર્મ હાઉસીસમાં તથા અધિકારીઓનાં બંગલાઓમાં પણ આ ગિફ્ટ લેતીદેતી સંબંધે મીટિંગો અને ભાવતાલ તથા સેટિંગ્સ ગોઠવાતાં રહે છે.
અધિકારીઓને તથા કર્મચારીઓને સામાન્ય ગિફ્ટથી માંડીને વૈભવી કાર સુધીની ગિફ્ટ તથા સોના-હીરાના આભૂષણો -ઝવેરાતો તથા સહપરિવાર વેકેશન ટૂર-હવાઈયાત્રા, વિદેશયાત્રા જેવાં પ્રલોભનો પણ આપવામાં આવતાં હોય છે, મિલ્કતો અને ધંધામાં બેનામી ભાગીદારી સહિતની બાબતો ભ્રષ્ટ અધિકારીઓ માટે આસાન બાબતો હોય છે. આ વખતે દીવાળી સાથે-સાથે વિધાનસભા ચૂંટણી પણ હોય, ઘણાં બધાં અધિકારીઓને વૈભવી ગિફ્ટ મળી શકે છે.
આ આખો મુદ્દો ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે ACBને સતર્ક કરી દીધું છે. ACB નાં અધિકારીઓ આ પ્રકારના અધિકારીઓનાં નિવાસસ્થાનો પર પણ વોચ રાખશે. આ ઉપરાંત જે ખાનગી વ્યક્તિઓ ગિફ્ટ સંબંધિત અધિકારીઓ સુધી પહોંચાડવા સરકારી કચેરીઓની મુલાકાતો લેતાં હોય તેવાં લોકો પર પણ ACB તંત્ર વોચ રાખી રહ્યું હોવાનું અત્યંત આધારભૂત સૂત્રો જણાવે છે. આ વોચ સફળ નીવડશે તો દીવાળીનાં તહેવારો દરમિયાન કેટલાંક અધિકારીઓ અને કર્મચારીઓની ધરપકડનાં ફટાકડાઓ ફૂટશે, તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે.