Mysamachar.in-જામનગર
જામનગર શહેર વોર્ડ નંબર 9 ના ભાજપના કોર્પોરેટર નિલેશ કગથરા દ્વારા જામનગર જીલ્લા પ્રભારી મંત્રી બ્રિજેશ મેરજા અને ઉર્જામંત્રી કનું દેસાઈને પત્ર લખી ગ્રાહક અને પીજીવીસીએલ વચ્ચે પેચીદા બનેલ આ યોગ્ય ઉકેલ લાવવા રજૂઆત કરી છે, કગથરાએ રજુઆતમાં જણાવ્યું છે કે પીજીવીસીએલ દ્વારા વપરાશકર્તાને બીલ પાઠવવામાં આવે છે. પાઠવવામાં આવેલ બીલો પૈકી ગ્રાહકો દ્વારા પીજીવીસીએલની ફેવરના ચેકો આપવામાં આવે છે. જે વપરાશકર્તાના બેંક ખાતામાં બેલેન્સ હોય પરંતુ, બેંકની ખામીના હિસાબે અથવા તો અન્ય કોઇપણ કારણના હિસાબે ચેક રીર્ટન થાય. ટુંકમાં નાણાંના અભાવે ચેક રીર્ટન થતો નથી. પરંતુ અન્ય કારણોસર ચેક રીર્ટન થાય તો પીજીવીસીએલ દ્વારા બીજીવાર ક્યારેય પણ ચેક દ્વારા પેમેન્ટ સ્વીકારાવામાં આવતું નથી અને જો 10,000 થી વધુ નુ બીલ હોય તો તેઓ રોકડા પણ સ્વીકારતા નથી.
ગ્રાહકને ફરજીવાત ડીડી અથવા ઓનલાઇન ટ્રાન્સફર કરવાની ફરજ પાડે છે. જે યોગ્ય નથી. કોઇપણ માણસનો ચેક જો વારંવાર પાછો બેલેન્સ ન હોવાના કારણે અથવા અન્ય કારણોસર રીર્ટન થતો હોય તો તેને બ્લેક લીસ્ટમાં મુકે તે યોગ્ય છે. પરંતુ, જે વ્યક્તિના ખાતામાં બેલેન્સ હોય અને પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય તેમને પીજીવીસીએલ દ્વારા આ પ્રકારની હેરાનગતી છેલ્લા કેટલાક સમયથી કરવામાં આવે છે. સ્થાનિક કચેરીમાં આ બાબતે તપાસ કરતા તેઓ દ્વારા એવું જણાવવામાં આવેલ છે કે આ પ્રોગ્રામમાં જો સુધારો કરાવવો હોય તો ઉર્જા મંત્રી અથવા પ્રભારી મંત્રીને ફરીયાદ કરો. જામનગરમાં કોઇ અધિકારીને આવી સત્તા નથી. તો જો આ વાત હકીકત હોય તો આવા નિયમ તાત્કાલીક ધોરણે બદલવા જોઇએ અને જામનગર લેવલે કોઇપણ એક અધિકારીને આવા ચેક લેવા કે ન લેવા તેની સત્તા સોંપવી જોઇએ. જેથી જેને પૈસા આપવા છે તેવા જાગૃત અરજદારોને પરેશાની વેઠવાનો વારો ના આવે..