Mysamachar.in-જામનગર
જામનગર શહેરમાં વર્ષોથી ચાલતી અને:પૂર્ણ ના થતી ખર્ચાઓની ઘર સમી ભૂર્ગભ ગટરની કામગીરીને લઈને છાશવારે વાંધા વિરોધ અને રજુઆતો થતા રહે છે, પણ કોણ જાણે કોનું હિત આ કામ સાથે સંકળાયેલું છે, કે કોઈ નક્કર પગલા જ નથી લેવામાં આવતા એવામાં મનપાના પૂર્વ વિપક્ષ નેતા અને હાલ વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર અસ્લમ ખીલજીએ ભૂર્ગભ ગટરની કામગીરી કરનાર ખાનગી કંપની સામે સાવલી ઉઠાવી અને પગલા લેવાની લેખિત માંગણી કમિશ્નર સમક્ષ કરી છે,
અસ્લમ ખીલજીએ કરેલ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે આશરે 14 માસ પહેલા 10 કરોડ રૂપિયા ઉપરનું કામ રાજા રામ કંપનીને વોર્ડ નં.12 સહીત અલગ અલગ વોર્ડમાં કામ કરવા માટે ટેન્ડર લાગેલ તેમાં 15માસમાં તેને કામગીરી પૂરું કરવાની થતી હોય તેવી શરત ટેન્ડરમાં સ્પષ્ટ છે. આ રાજા રામ કંપની વિરુધ અમો દ્વારા આવેદનપત્ર આપેલ છે. લેખિત તથા મૌખિક સામાન્ય સભામાં પણ અનેક વખત રજુઆતો કરેલ છે. તેમ છતાં આ રાજા રામ કંપનીને ભૂગર્ભ શાખાના જવાબદાર અધિકારીઓ દ્વારા ચાર-ચાર વખત નોટીસ મળેલ હોય કે હલકી કક્ષાનું કામ થાય છે. અને વોર્ડ નં.12 રબ્બાની પાર્ક સોસાયટીની ઇન્ટરનલ શેરીઓમાં ત્રણ-ત્રણ વખત લાઈનો બહાર કઢાવેલ હોય. મુખ્ય લાઈન મોરકંડાથી બાબુ અમૃતના વાળા સુધી અધૂરું કામ મૂકી લોકોને સુવિધાને બદલે દુવિધાઓ ઉભી કરી અને એક વર્ષ આસપાસથી કામ બંધ કરીને કોઈને ગાઠતા નથી.
સ્થાનિક લોકોને અનહદ તકલીફ પડે છે. ચારેય કોર રોડ પર ગટરો છલકાય છે. ગંદા પાણીનો કોઈ નિકાલ જ નથી. તેના માટે કેનાલનું કામ કરવાનું હોય કામ અધૂરું મુકીને રાજા રામ નહિ પણ મહારાજા રામ હોય અને કોઈને ગાઠતા ન હોય મજુર માણસો પગાર પણ ચુકવતા ન હોય અનેક વખત અધિકારીઓ સુધી અને અમારા સુધી લેબરોની ફરિયાદ પણ આવેલ છે.આ રાજા રામ કંપની નહિ પરંતુ મહારાજા કંપનીને બ્લેક લીસ્ટ કરવામાં તંત્રને અને સતાધારી પક્ષને કોની શરમ નડે છે.? તેવો વેધક સવાલ પણ અસ્લમ ખીલજીએ ઉઠાવી અન્યથા એવું સાબિત થાય છે કે સતાધારી પક્ષ દ્વારા તેને છાવરવામાં આવે છે. આગામી દસ દિવસમાં જો બ્લેક લીસ્ટ કરવા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહિ આવે તો અચોક્કસ મુદતના ધરણા કમિશ્નર ચેમ્બરની બહાર કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.